Get The App

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટેન્કર લઈને પહોંચ્યા

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટેન્કર લઈને પહોંચ્યા 1 - image

Vadodara Water Shortage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચી ગઈ છે જેને કારણે પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 14 ના બે કોર્પોરેટર કોર્પોરેશનની ટેન્કર ગાજરાવાડી ટાંકી ખાતેથી મેળવી લઈ મહિલા કોર્પોરેટરે જાતે ચલાવી વાઘોડિયા રોડ સ્થિત ચંદ્રપ્રભા નગરની વસાહતના લોકોને પાણી પૂરું પાડ્યું હતું.

આગામી દિવસમાં હજી વરસાદનો પ્રારંભ થવાનો બાકી છે ત્યારે ઉનાળા માં આજવા સરોવરની સપાટીમાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટ સુધી પહોંચી ગઈ છે જેને કારણે પાણીની આવકમાં ઘટાડો થતાં આડકતરી રીતે પૂર્વ વિસ્તારમાં 10 થી 15 મિનિટનો પાણીનો કાપ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા એક કલાકના સમયને બદલે માળ અડધો કલાક ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે જેથી પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાયો છે.

કોર્પોરેશન દ્વારા ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાથી લોકોને ટેન્કરથી પાણી મંગાવવું પડે છે એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં તો ગંદુ પાણી આવતું હોવાને કારણે પાણીના જગ પણ વેચાતા લેવા પડે છે. કોર્પોરેશન દ્વારા પણ ટેન્કરથી જે વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે તેના ફેરામાં પણ વધારો થયો છે. 

એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા પાણીની ટેન્કરો માંગવા છતાં મળતી નથી જેને કારણે અનેક સોસાયટીના લોકોને ખાનગી રીતે ટેન્કરોનો ધંધો કરનારા પાસેથી નાણાં ચૂકવીને ટેન્કરોથી પાણી વેચાણથી લેવુ પડે છે જેથી લોકોને આર્થિક ભારણ વધી જાય છે.

પાણીના કકળાટને કારણે એક બાજુ કોર્પોરેશન લોકોને ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડી શકતું નથી જેને કારણે ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપાબેન શ્રીવાસ્તવ ગાજરાવાડી ટાંકી ખાતે પહોંચી ગયા હતા અને કયા વિસ્તારમાં પાણીની ટેન્કરો પહોંચાડવામાં આવી રહી છે તેની જાણકારી લીધી હતી. ત્યારે તેમને તેમના વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત ચંદ્રપ્રભા નગર વસાહતમાં પાણી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરી ન હતી. જેને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટર પાસેથી ટેન્કર મેળવી લઈ દીપાબેન શ્રીવાસ્તવ એ જાતે ટ્રેક્ટર ચલાવી ટેન્કર ચંદ્રપ્રભા નગર ખાતે પહોંચાડી હતી અને લોકોને પાણી પૂરું પાડ્યું હતું.