SURAT: કોરોનાના લાંબા વિરામ બાદ સુરતમાં આયોજિત 20th સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો અને ફ્લાવર શો વિવાદોનું કેન્દ્ર બન્યા છે. એક તરફ કરોડોના ખર્ચના આક્ષેપો છે, તો બીજી તરફ ફ્લાવર શોના નામે સુરતીઓ સાથે રમત રમાઈ હોવાની લોકમુખે ચર્ચા છે. અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોની નકલ કરવા જતાં સુરત મહાનગરપાલિકાએ જાણે 'સસ્તી કોપી' તૈયાર કરી હોય તેવો ઘાટ સર્જાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
કુદરતી ફૂલો ગાયબ, પ્લાસ્ટિકના ફૂલોથી સજાવટ!
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોમાં લાખો કુદરતી અને સુગંધિત ફૂલોનો ઉપયોગ થાય છે, જેની સરખામણીએ સુરતના 800 Sq. Mtr. વિસ્તારમાં ફેલાયેલા ફ્લાવર શોમાં પ્લાસ્ટિકના ફૂલોનો ખડકલો કરી દેવાતા મુલાકાતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સુરતીઓનો રોષ:
જે સુરતીઓ અમદાવાદનો ફ્લાવર શો જોઈ આવ્યા છે, તેમણે પાલિકાની આ 'વેઠ' પર આકરા પ્રહારો કર્યા છે. લોકોનું કહેવું છે કે, "ફ્લાવર શો એટલે કુદરતી સુંદરતા, અહીં તો પ્લાસ્ટિકના શો-પીસ મૂકીને જનતાની આંખમાં ધૂળ નાખવામાં આવી છે."

મેટ્રોની પ્રતિકૃતિ કે મઝાર? સોશિયલ મીડિયા પર આક્ષેપોનો મારો
આયોજનમાં સૌથી વધુ ચર્ચા જે-તે કૃતિઓની ડિઝાઇનની થઈ રહી છે. સુરત મેટ્રોની એક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, પરંતુ તેની ફિનિશિંગ એટલી નબળી છે કે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. મુલાકાતીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જો આ કૃતિ પર 'મેટ્રો'નું બોર્ડ ન માર્યું હોય, તો તેને જોતા કોઈ 'મઝાર' જેવો લુક આવે છે. આવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આર્કિટેક્ચરલ અને વિઝ્યુઅલ ડિઝાઇનમાં આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ, તે એક મોટો પ્રશ્ન છે.
લખલૂટ ખર્ચ છતાં સુવિધામાં 'છીંડા'
પુસ્તક મેળા અને ફ્લાવર શો પાછળ પાલિકા દ્વારા તિજોરી ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અલગ જ છે. અમદાવાદ જેવો શો બનાવવાનો દાવો પોકળ સાબિત થયો છે.આયોજનમાં ક્યાંય પ્રોફેશનાલિઝમ દેખાતું નથી અને વેઠ ઉતારવામાં આવી હોવાની ટીકા કરાઈ રહી છે. રવિવારની રજાના દિવસે ઉત્સાહથી પહોંચેલા સુરતીઓ નિરાશ થઈને પરત ફરતા જોવા મળ્યા હતા.
કરોડો રૂપિયાના ટેન્ડર આપ્યા પછી પણ જો પ્લાસ્ટિકના ફૂલોથી કામ ચલાવવું પડતું હોય, તો જનતાના ટેક્સના પૈસા જાય છે ક્યાં? તેવો સવાલ સુરતીો કરી રહ્યા છે.


