- એક મોટા રહેણાંક પ્રોજેક્ટને પગલે વિવાદ વકર્યો
- ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતર કરી 200 થી 300 મકાનોની સોસાયટી બનાવવાની કામગીરીનો આક્ષેપ
નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામે લઘુમતી સમુદાય માટે આયોજિત એક મોટા રહેણાંક પ્રોજેક્ટને પગલે વિવાદ વકર્યોે છે. ત્રાજ ગામના ગ્રામજનોએ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે, ગામની સીમમાં અને રહેણાંક હેતુ માટે ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતર કરીને ૨૦૦થી ૩૦૦ જેટલા મકાનોની સોસાયટી બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જે આગામી સમયમાં ગામની વસ્તીના માળખામાં ફેરફાર કરી શકે છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમજદખાન જુનેદખાન પઠાણ દ્વારા ચોક્કસ સમુદાય માટે 'અમ્બર કોર્ટયાર્ડ કમિંગ સૂન' અને 'એક સપના અપની જમીન અપના આશિયાના' જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગ્રામજનોના મતે આ પ્રકારના મોટા પાયે થતા બાંધકામો અને બહારથી આવતા લોકોના વસવાટને કારણે સ્થાનિક સ્તરે સામાજિક સંતુલન બગડવાની ભીતિ છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકોના વસવાટ સામે સ્થાનિકોએ સખત વાંધો ઉઠાવ્યો છે.
ત્રાજ ગામનો ઇતિહાસ ટાંકતા આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ૨૫ વર્ષથી ગામમાં રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારો સમયે પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે, જે સરકારી દફતરે નોંધાયેલ છે. હાલમાં ગામમાં બંને કોમ વચ્ચે એકતા જળવાઈ રહી છે, પરંતુ જો અન્ય વિસ્તારોમાંથી નવી વ્યક્તિઓનો વસવાટ થશે તો ગામની સુલેહ-શાંતિ ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. આથી, મામલતદાર પાસેથી યોગ્ય રિપોર્ટ મેળવીને કોઈપણ નવી પરવાનગીઓ કે હેતુફેરની કામગીરી અટકાવવા વિનંતી કરવામાં આવી છે.
વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદના ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાં જ્યાં ડિમોલિશનની કામગીરી થઈ છે, ત્યાંથી બાંગ્લાદેશી જેવા શંકાસ્પદ વસાહતીઓ આ વિસ્તારમાં આવી શકે તેમ છે. આ બાબતને ગંભીર ગણાવીને ગ્રામજનોએ પોતાના બંધારણીય હકો અને કાયદાકીય રક્ષણની માંગ કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સ્થાનિક અને માન્ય ઓળખકાર્ડ ધરાવતા લઘુમતી ભાઈઓ સામે તેમને કોઈ વિરોધ નથી, પરંતુ બહારથી આવતા અજાણ્યા તત્વો ગામ માટે જોખમી બની શકે છે. આ વિવાદ માત્ર ત્રાજ પૂરતો સીમિત નથી, પરંતુ માતર તાલુકાના ગરમાળા ગામે પણ સમાન પ્રકારની સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. ગરમાળામાં પણ આશિયાના રેસિડેન્સી નામના પ્રોજેક્ટ દ્વારા હિન્દુ બહુમતી વિસ્તારમાં ચોક્કસ સમુદાયના વસવાટના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોએ લવ જેહાદ જેવી ઘટનાઓ બનવાની ભીતિ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓ રોકવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
તાજેતરમાં ગરમાળામાં બનેલી એક હિંસક ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના કેટલાક લોકોએ સ્થાનિક હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો અને તે અંગે માતર પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭ મુજબ ફરિયાદ પણ નોંધાઈ છે. આ ઘટના બાદ આસપાસના ગામો જેવા કે ત્રાજ, કોશીયલ, પીપરીયા, માછીયેલ અને ખડીયારાપુરામાં ભયનો માહોલ છે. ગ્રામજનોના મતે આ એક સુનિયોજિત ષડયંત્ર છે, જેના દ્વારા લાલચ આપીને જમીનો પડાવી લેવામાં આવી રહી છે.
સમગ્ર મામલે ગ્રામજનોએ કલેક્ટર ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓને પણ નકલ રવાના કરી છે. માતર તાલુકામાં આવી કોઈ પણ પ્લોટિંગ સ્કીમ કે રહેણાંક યોજનાઓને મંજૂરી ન આપવા અને સમગ્ર વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા માટે પત્રના અંતે આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભલાડા પાસે આવેલા ગામની સીમમાં વડ નીચે પૌરાણિક મંદિર આવેલું છે અને તેની નજીક જ મજાર આવેલી છે. વર્ષોથી આ જગ્યાએ બંને પક્ષો વચ્ચે સંપ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ સ્થળે અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે. ગતરાત્રે આ મંદિરને આગ લાગવાની ઘટના બની છે, જેનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોને શંકા છે કે ત્યાં બેસી રહેતા તત્વો દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું છે. કારણ કે બાજુમાં આવેલ મજારને કોઈ નુકસાન થયું નથી. આ બાબતે પણ કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.


