Get The App

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, 'વોર્ડન આશાબેન નહીં ચાલે'ના નારા સાથે દેખાવો

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, 'વોર્ડન આશાબેન નહીં ચાલે'ના નારા સાથે દેખાવો 1 - image


Students Protest In Vav-Tharad: વાવ-થરાદ જિલ્લાના થરાદમાં આવેલી મોડલ હોસ્ટેલ (KGBV)માં વહીવટી વિવાદ વકરતા વાતાવરણ ગરમાયું છે. હોસ્ટેલની અંદાજે 250થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારથી જ મોરચો માંડ્યો છે. 'વોર્ડન આશાબેન નહીં ચાલે'ના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.

ભૂતકાળના ત્રાસથી વિદ્યાર્થિનીઓ ફફડાટમાં

આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું. તે વિદ્યાર્થિનીઓને 'ઢોર' જેવા અપશબ્દો કહીને અપમાનિત કરતા અને નાની નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હતા. 

છેલ્લા એક વર્ષથી સોનલબેન વોર્ડન તરીકે હતા, જેમના શાસનમાં વિદ્યાર્થિનીઓ માતા જેવી સુરક્ષા અનુભવતી હતી, પરંતુ તેમની બદલી કરીને ફરી વિવાદિત આશાબેનને લાવવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: 'આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..', સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્યાં

ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

દીકરીઓના આ આંદોલનમાં વાલીઓ પણ જોડાયા છે. વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, અગાઉ તેમના સમયમાં ભોજનમાં જીવજંતુઓ આવવા, સ્ટેશનરી બારોબાર વેચી દેવી અને પાયાની સુવિધાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદો સીએમ પોર્ટલ સુધી કરવામાં આવી હતી. આટલા વિવાદિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને ફરીથી અહીં કેમ મૂકવામાં આવ્યા તેવો સવાલ વાલીઓએ ઉઠાવ્યો છે.

હાલમાં પરીક્ષાઓ ચાલી રહી હોવા છતાં, ન્યાયની માંગ સાથે દીકરીઓ મક્કમ છે. વિદ્યાર્થિનીઓની મુખ્ય માંગણીઓ છે કે, વર્તમાન વોર્ડન આશાબેનને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી હટાવવામાં આવે. સોનલબેનને ફરીથી નિયુક્ત કરવામાં આવે અથવા અન્ય કોઈ તટસ્થ વ્યક્તિને જવાબદારી સોંપાય. છેલ્લા 3 મહિનાથી હોસ્ટેલની મુલાકાત ન લેનારા જિલ્લા જેન્ડર ઓફિસર સામે તપાસ થાય.

જો સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થિનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની અને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.