| AI IMAGE |
Vadodara News: વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સંતોષી નગર વસાહતમાં રહેતા 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના 73 વર્ષીય પત્ની બપોરના સમયે પોતાના ઘરે એકલા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સોએ આવીને તેમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યાર બાદ મતદાનના નામે લૂંટ ચલાવી હતી.
વોટ આપવા ગયા હતા? કહી વિશ્વાસ જીત્યો
લૂંટારુઓએ દંપતીનો વિશ્વાસ જીતવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, તમે ચૂંટણીમાં વોટ આપવા ગયા હતા કે નહીં? આ સવાલ સાંભળી દંપતી કઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલા જ બંને શખ્સો જબરજસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ તેમને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી.
![]() |
| મતદાન કર્યું કે નહી કહીને ઘરમાં ઘુસ્યા |
માર મારી રૂમમાં પૂરી દીધા
પ્રાથમિક વિગતો મુજબ, ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ અસહાય વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. તેમને માર માર્યા બાદ એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. દંપતી લાચાર બની ગયું હતું અને લૂંટારુઓએ આખા ઘરને બાનમાં લીધું હતું.
શું શું લૂંટી ગયા?
લૂંટારુઓ ઘરમાંથી કિંમતી સામાન સાફ કરી ગયા હતા, જેમાં અંદાજે ₹12,000 રોકડા, સોનાની કિંમતી વસ્તુઓ, પર્સ અને મોબાઈલ ફોન સહિતની અનેક વસ્તુઓની લૂંટ ચલાવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટારુઓ તમામ સામાન લઈને ફરાર થઈ ગયા છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
![]() |
| બંધક બનાવીને લૂંટ કર્યા બાદ ફરાર |
સુરત બાદ વડોદરામાં લૂંટથી ફફડાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછા વિસ્તારમાં પણ એસબીઆઇની શાખામાં કેટલાક હથિયારબંધ લૂંટારૂઓ દ્વારા 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જેના પગલે સુરતમાં પણ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે વડોદરામાં પણ આવી ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં આ પ્રકારની લૂંટ એક ખુબ જ ચોંકાવનારી બાબત છે. કારણ કે લૂંટ જેવી ઘટના ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે.




