Gujarat

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી

By GS TEAM
24 Jun 20263 mins read
TukuTouch Logo
ગુજરાતની કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાના એક સામાન્ય પરિવારે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી પણ વધુ સમયથી ભારતની અત્યંત દુર્લભ અને ઐતિહાસિક એવી 'રુદ્રવીણા'ના વારસાને જીવંત રાખી રહ્યો છે. આ જ અથાગ પરિશ્રમનું પરિણામ છે કે હવે આ કળાની રાષ્ટ્રીય સ્તરે પણ મોટી નોંધ લેવાઈ છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-2025 ના પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' માટે વડોદરાના રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી

Vadodara Rudra Veena National Award: ગુજરાતની કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાના એક સામાન્ય પરિવારે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી પણ વધુ સમયથી ભારતની અત્યંત દુર્લભ અને ઐતિહાસિક એવી 'રુદ્રવીણા'ના વારસાને જીવંત રાખી રહ્યો છે. આ જ અથાગ પરિશ્રમનું પરિણામ છે કે હવે આ કળાની રાષ્ટ્રીય સ્તરે પણ મોટી નોંધ લેવાઈ છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-2025 ના પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' માટે વડોદરાના રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સન્માન માટે પસંદગી થયા બાદ કિશોરભાઈએ નમ્રતાપૂર્વક જણાવ્યું કે, "આ મારું સન્માન નથી, પરંતુ મારા પૂર્વજોની સાધના અને તપસ્યાનું ફળ છે. આ વ્યક્તિગત સિદ્ધિ નથી, પણ ગુજરાતની સમૃદ્ધ સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મળેલી સ્વીકૃતિ છે." કિશોરભાઈ છેલ્લા 5 દાયકા એટલે કે 50 વર્ષથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.


એક રુદ્રવીણા બનાવતા લાગે છે 3 વર્ષ! જાણો તેની જટિલ પ્રોસેસ

કિશોરભાઈ મિસ્ત્રીએ રુદ્રવીણા બનાવવાની અદભુત અને કુદરત પર નિર્ભર પ્રક્રિયા વિશે રસપ્રદ વિગતો શેર કરી છે.

ચંદ્રભાગા નદીના તુંબડા: વીણાના બંને છેડે અવાજના ગુંજન માટે ગોળ તુંબડા લગાવાય છે. આ માટે ખાસ કરીને મહારાષ્ટ્રના પંઢરપુરની ચંદ્રભાગા નદીના પટમાં થતા દૂધીના વેલાના કુળના તુંબડા પસંદ કરાય છે.

પેસિફિક બામ્બુનો દંડ: તુંબડાને જોડવા માટે 'પેસિફિક બામ્બુ' (વાંસ) વપરાય છે. તેને ઋતુ પ્રમાણે કુદરતી રીતે સૂકવ્યા બાદ, ગરમ સળિયા વડે તેની અંદરની ગાંઠો બાળીને પોલો કરવામાં આવે છે, જેથી અવાજ કોઈ પણ અડચણ વગર પસાર થઈ શકે.

કાળા સીસમનું લાકડું અને મયૂર આકૃતિ: વીણાની ખૂંટીઓ માટે કાળા સીસમનું લાકડું વપરાય છે. શાસ્ત્રોમાં સંગીતના પ્રથમ સૂર 'ષડ્જ' (સા) નું પ્રતીક મોર હોવાથી, વીણા પર સીસમ કે સાગના લાકડામાંથી આકર્ષક મોર કંડારવામાં આવે છે.

આ આખી પ્રક્રિયા એટલી જટિલ અને બારીક નકશીકામ વાળી છે કે એક સિંગલ રુદ્રવીણા તૈયાર કરતા અંદાજે 2 થી 3 વર્ષનો સમય લાગી જાય છે.

ન્યૂયોર્ક અને ફ્રાન્સના મ્યુઝિયમમાં વડોદરાની વીણાની શાન

મિસ્ત્રી પરિવાર વડોદરાના વેરાઈ માતા ચોક, ખંડેરાવ માર્કેટ પાસે આવેલી પોતાની 153 વર્ષ જૂની નાનકડી દુકાનમાં આજે પણ આ જાદુઈ વાદ્યો બનાવે છે. આ દુકાનમાં તૈયાર થયેલી સિતાર  અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં, સરસ્વતી વીણા હોલેન્ડ મ્યુઝિયમમાં, જ્યારે રુદ્રવીણા ફ્રાન્સ અને બરોડા મ્યુઝિયમની શોભા વધારી રહી છે. આ ઉપરાંત, ગુજરાતના વડનગરમાં બની રહેલા ભવ્ય સંગીત મ્યુઝિયમ માટે પણ આ પરિવારે 31 જેટલા પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કરી આપ્યા છે.


કેવી રીતે થઈ સફરની શરૂઆત? ગુરુની તૂટેલી વીણાએ બદલી નાખ્યું નસીબ!

આ કળામાં મિસ્ત્રી પરિવારનો પ્રવેશ કેવી રીતે થયો તેની વાત પણ ખૂબ જ રસપ્રદ છે. 153 વર્ષ પહેલાં કિશોરભાઈના પરદાદા મનસુખ રઘુનાથજી ગાયકવાડ દરબારના પ્રખ્યાત રુદ્રવીણા વાદક એમ.સી. બુઆ પાસે સંગીત શીખતા હતા. એક દિવસ અકસ્માતે ગુરુજીની વીણા તૂટી ગઈ. તે સમયે આખા વડોદરામાં તેને રીપેર કરનાર કોઈ નહોતું.

ત્યારે મનસુખજીએ પોતાની કોઠાસૂઝથી વીણાનું એવું શાનદાર સમારકામ કર્યું કે ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીએ ખુશ થઈને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, "આ વાદ્ય અદભુત રીપેર થયું છે, હવે તું આ જોઈને નવું વાદ્ય બનાવ." ગુરુના આ શબ્દોને ઝીલી લઈને મનસુખજીએ નવું વાદ્ય બનાવ્યું અને બસ ત્યારથી આ પરિવારની સંગીત યાત્રા શરૂ થઈ ગઈ.


યુવા પેઢીમાં વધી રહ્યો છે ક્રેઝ

કિશોરભાઈને વર્ષ 2023 માં સંગીત નાટક અકાદમી દ્વારા રુદ્રવીણા નિર્માણ માટે 'ગુરુ'નું બિરુદ મળ્યું હતું અને હાલ તેઓ ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવી પેઢીને આ કળા શીખવી રહ્યા છે. વર્ષ 2023 ના 'ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો'ના પોતાના અનુભવ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, આ એક્સ્પોમાં રુદ્રવીણાના નિર્માણમાં યુવા વર્ગે જે ભારે રસ દાખવ્યો હતો, તે જોતા આ લુપ્ત થતી કળાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.