Gujarat

વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા વડોદરા ના આઉટર રિંગરોડ પર ચાર રસ્તા પર દબાણો દૂર કર્યા

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા વડોદરા ના આઉટર રિંગરોડ પર ચાર રસ્તા પર દબાણો દૂર કર્યા

વડોદરા, તા. 30

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો વડોદરા શહેરનો પ્રતાપ નગર થી કપુરાઈ ચોકડી સુધીનો રસ્તો હાલમાં ઉબડખાબડ છે એટલું જ નહીં ચાર રસ્તા ઉપર ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતાં હોય છે જેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ શાખા ની ટીમ અને કોર્પોરેશનના હોદ્દેદાર અને વોર્ડ નંબર 16 ના કોર્પોરેટરોએ સંયુક્ત રીતે સ્થળ ની મુલાકાત લઇ ગેરકાયદે દબાણો કરનારાને ટ્રાફિક જામ થાય નહીં તેને ધ્યાનમાં રાખી હટી જવા સમજાવ્યા હતા.

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. ત્યારે વડોદરા શહેરમાંથી પસાર થતો પ્રતાપ નગર થી કપુરાઈ ચોકડી સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી ઉબડખાબડ થઈ ગયો છે તેનું સમારકામ કરવામાં આવતું નથી એટલું જ નહીં સોમા તળાવ ચાર રસ્તા અને વાઘોડિયા રોડ થી ડભોઈ રોડ આઉટર રિંગરોડ પર ગુરુકુળ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઉભા રહીને ધંધો કરતા લારી-ગલ્લા અને પથારા વાળા ને કારણે વાહનચાલકોને મુશ્કેલી સર્જાતી હોય છે, વોર્ડ નંબર 16 ના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે રજૂઆત કરી હતી કે,સોમા તળાવ સહિતના મુખ્ય ચાર રસ્તા પર આજુ બાજુમાં ઊભા રહેતા લારી ગલ્લા, લક્ઝરી બસો, રીક્ષાઓ ને કારણે અવારનવાર ટ્રાફિક જામ થાય છે એટલું જ નહીં નાના-મોટા અકસ્માતો પણ ચાર રસ્તા પર થતા રહે છે જેથી ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારના ચાર રસ્તા પર ટ્રાફિક જામ થાય નહીં તેની તકેદારી રાખવી જરૂરી છે.

આ રજૂઆતને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના હોદ્દેદાર વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અને દબાણ શાખા ની ટીમે સંયુક્ત રીતે ગઈકાલે સાંજે આ વિસ્તારની મુલાકાત લઇ ચાર રસ્તા પર નડતરરૂપ લારી ગલ્લા વાળા તેમજ પરિક્ષા લક્ઝરી બસ વાળાને મુખ્ય રસ્તાથી દૂર ઊભા રહેવા સુચના આપી હતી તેમજ ગરીબ લારી ગલ્લાવાળા ને ચાર રસ્તાથી દૂર રસ્તાની બાજુમાં ખૂણામાં ઊભા રહીને વ્યવસાય કરવા જણાવ્યું હતું.