Get The App

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ 1 - image

Umargam Election Officer Self-destruction Case: વલસાડમાં ઉમરગામના ચૂંટણી અધિકારીના ચકચારી બનેલા આપઘાત કેસમાં વાપી રેલવે પોલીસ(જીઆરપી)ના અધિકારીએ તપાસ શરૂ કરી છે. બુધવારે(15 એપ્રિલ, 2026) એફએસએલની મદદથી ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ કર્યુ હતું. જો કે, કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ દ્વારા કચેરીના કર્મચારીઓના નિવેદન અને ફૂટેજ લેવાની પણ કામગીરી કરાશે.

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ

ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ-2 બેઠક પર અપક્ષ ઉમેદવારના પત્રક રદ કરવા ભાજપના નેતા અને વકીલોના દબાણને લઈ ચૂંટણી અધિકારી એવા મામલતદાર દલપત બ્રાહ્મણકાચ્છ માનસિક તણાવમાં આવી ગયા હતા. એટલું જ નહીં પણ ભારે દબાણને કારણે તેઓ રાત્રે ઉમેદવારના પત્રક અમાન્ય કે માન્ય રાખવા? તે અંગે નિર્ણય કરવા જણાવાયું હતું. જો કે, નિર્ણય જાહેર કરે તે પહેલા જ દલપત બ્રાહ્મણકાચ્છ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આદિવાસી સમાજ અને સરકારી કર્મચારીઓ સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી.

રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આજે વાપી રેલવે પોલીસ મથક(જીઆરપી)ના અધિકારી અને ટીમ ઉમરગામ એફએસએલની ટીમ સાથે ઉમરગામ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મામલતદાર ઓફિસ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યુ હતું. જો કે, કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી. બંને સ્થળે પંચકયાસ પણ કરાયો હતો. પોલીસ દ્વારા આ કેસમાં કચેરીના અધિકારી અને કર્મચારીઓના નિવેદનો અને સીસી ટીવી ફુટેજ મેળવવામાં આવશે. જિલ્લા કલેક્ટર પણ ચૂંટણી અધિકારીના આપઘાત કેસમાં તપાસ સોંપે તો સત્ય બહાર આવી શકશે તેમાં બે મત નથી.

આ પણ વાંચો: VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

વલસાડ જિલ્લા કોંગ્રેસે કડક કાર્યવાહીની કરી માગ

ઉમરગામના ચૂંટણી અધિકારીએ(મામલતદાર) ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને પ્રતિનિધી મંડળે વલસાડ જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના અનૈતિક દબાણને કારણે ચૂંટણી અધિકારી મામલતદારે આપઘાત કરવાની ફરજ પડી એમ જણાવ્યું હતું. મામલતદારના આપઘાત કેસમાં કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.