જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમાં લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર- કાલાવડ ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલા એક પદયાત્રી સંઘને પાછળથી એક ટ્રેન ના ચાલકે હડફેટમાં લઈ લેતાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી, જેમાં રાજકોટના જસદણ પંથકની એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે એક અન્ય યુવતી ઇજાગ્રસ્ત બની હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે. આ અકસ્માતના બનાવને લઈને પદયાત્રી સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના રબારી પરિવારના ચાર મહિલા સભ્યો જેમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉમર 54), આરતીબેન દિલીપભાઈ રબારી, કમુબેન દેવશીભાઈ મોરી, અને રાધા બેન ગભરૂભાઈ ખાંભલા, કે જેઓ પોતાના ગામથી પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ગઈકાલે બપોરના સમયે જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર મોટા થાવરીયા ગામના પાસે અકસ્માત નડ્યો હતો.
સી.જી.-10 એ.એસ. 3665 નંબરના ક્રેઈનના ચાલકે બેફામ ગતીએ આવી, પાછળની બે પદયાત્રી મહિલાઓ જેઠીબેન રામાભાઇ ખટાણા તેમજ રાધાબેન ગભરૂભાઈ ખાંભલા ને હડફેટમાં લઈ લીધા હતા, જેમાં જેઠીબેન (ઉંમર વર્ષ 54)નું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે રાધા બેનને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક જેઠીબેનના પુત્ર વલ્લભભાઈ રામાભાઇ ખટાણાએ જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ. એસ.સી જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલ માં દોડી ગયા હતા, જ્યારે ક્રેઈનના ચાલકની અટકાયત કરી લઈ ક્રેઇન કબજે કરી લીધી છે.








