Gujarat

ઘરમાંથી અઢી તોલાના સોનાના દાગીના જાણભેદૂ ચોરી ગયો

By GS TEAM
22 Feb 20261 min read
ઘરમાંથી અઢી તોલાના સોનાના દાગીના જાણભેદૂ  ચોરી ગયો

વડોદરા,માંજલપુરમાં રહેતા સીનિઅર સિટિઝનના ઘરમાંથી અઢી તોલા વજનના સોનાના દાગીના ચોરી થઇ  ગયા હતા. કોઇ જાણભેદૂએ જ ચોરી કરી હોવાની શક્યતાના આધારે  પોલીસે તપાસ  હાથ ધરી છે.

માંજલપુર આકાર કોમ્પલેક્સ સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન નરેન્દ્રભાઇ નાનાલાલ જોશીએ માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પૌત્રીની દેખરેખ માટે કેર ટેકર તરીકે કલાબેન જ્યંતિભાઇ વાઘેલા (રહે. ઇન્દિરાનગર, મકરપુરા) આવે છે. તેમજ ઘરના કામકાજ માટે ઉષાબેન અને રસોઇનું કામ કરવા માટે કિર્તીદાબેન છે. ગત ૧ લી જાન્યુઆરીએ મારા  પત્ની રેખાબેને સોના ચાંદીના દાગીના ઘરના રસોડાના ડાઇનિંગ ટેબલના કબાટમાં મૂક્યા  હતા. પરંતુ, લોક માર્યુ નહતું. ત્યારબાદ ૨૦ મી જાન્યુઆરીએ ચેક કરતા દાગીના ગાયબ થઇ ગયા હતા. ઘરમાં કામ કરતી મહિલાઓને પૂછવા છતાંય દાગીનાની ભાળ મળી નહતી. ઘરમાંથી અઢી તોલા વજનના સોનાના દાગીના તેમજ ચાંદીના ઝાંઝર, ત્રણ લગડી  ચોરી થઇ ગયા હતા.