Gandhinagar Accident News: ગુજરાતના હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો નાના વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર-મહેસાણા હાઈવે પર ઝુંડાલ બ્રિજ નજીક બુધવારે (31મી ડિસેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરઝડપે આવતા ટ્રકે મોપેડસવાર વૃદ્ધ દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મોપેડને પાછળથી ટ્રકચાલકે ટક્કર મારી
મળતી માહિતી મુજબ, ગાંધીનગર-મહેસાણા હાઈવે પર ઝુંડાલ બ્રિજ નજીકથી એક વૃદ્ધ દંપતી એક્ટિવા પર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. 70 વર્ષીય વૃદ્ધના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં વૃદ્ધાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતા જ અડાલજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક વૃદ્ધના દેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


