- અનેકવાર રજૂઆત છતાં ઉકેલ નહીં
- સુરક્ષા માટે બેરીકેટ પણ મૂકાયા નથી, અકસ્માત સર્જાવાની ભીતિ
કપડવંજ : કપડવંજમાં સૌથી વધુ સોસાયટીઓ ધરાવતા રત્નાગીરી રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે ગટરનો દુર્ગંધ મારતો ખાડો પડયો છે. જેના કારણે સ્થાનિકો અને દર્શને આવતા ભક્તોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. તેમજ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જેથી સ્થાનિકોમાં પાલિકાના સત્તાધીશો સામે રોષ ફેલાયો છે.
કપડવંજમાં ઘણા સમયથી નવનિમત ગટરલાઇનની કામગીરી ચાલી રહી છે, ત્યારે સૌથી વધુ સોસાયટી ધરાવતા વિસ્તાર રત્નાગીરી રોડ પર સ્વામીનારાયણ મંદિર સામે ગટરનો ભયજનક દુર્ગંધ મારતો ખાડો પડયો છે. જેના કારણે અવરવર કરતા લોકો અને મંદિરે દર્શને આવતા ભક્તોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ભયજનક ખાડો ત્રણ દિવસથી પડયો છે. આ મામલે નગરપાલિકા અને વોર્ડના મ્યુનિ કાઉન્સિલરને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ સુરક્ષા માટે બેરીકેટ મુકવામાં આવ્યું નથી. જેથી વિસ્તારમાં રાત્રિના સમયે સિનિયર સિટીઝનો, વાહનચાલકો, બાળકો અકસ્માતનો ભોગ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિકો સત્તાધીશો સામે રોષ ઠાલવી રહ્યાં છે, અને સત્વરે સમસ્યા દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે.


