Vav Tharad News: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકના ડોડગામમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં એક 12 વર્ષીય બાળક, 13 વર્ષીય બાળકી અને એક 18 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો છે. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો
ડોડગામમાં ભાગ્યા તરીકે મજૂરી કરી રહેલો પરિવાર ઉપર એકાએક જાણે આભ ફાટી પડ્યું હોય તેવી એક ઘટના સર્જાતા સમગ્ર પથક ની અંદર અરેરાટી વાપી જવા પામી હતી. બુધવારના બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ગામની અંદર આવેલા એક તળાવમાં પાણી ભરવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ ગામડી (તા. ડીસા) ના વતની શિવાભાઈ વાલ્મિકીની બે પુત્રીઓ હેતલબેન અને ગુડીબેન તેમજ દિયોદરના વખવાડા ગામના વિપુલ શોભાભાઈ વાલ્મિકી ડોડગામ ખાતે તળાવમાં પાણી ભરવા ગયા હતા. પાણી ભરતી વખતે અચાનક 12 વર્ષીય વિપુલનો પગ લપસતા તે ઊંડા ખાડામાં ખાબક્યો હતો તેમને ડૂબતા જોઈ 13 વર્ષીય ગુડીબેન બચાવવા માટે ગયા હતા પરંતુ તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
પોતાના ભાઈ-બહેનને મરણિયા જંગ લડતા જોઈ હેતલબેન (ઉંમર 18 વર્ષ) જેઓ પોતે બે નાના બાળકોની માતા હતા તેમણે જીવના જોખમે બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય વ્યક્તિઓ એકપછી એક ડૂબી ગયા હતા અને ઘટનાસ્થળે જ ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. તળાવ કિનારે હાજર માતાએ ચીસાચીસ કરતા આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
મૃતક હેતલબેનના લગ્ન ભાભરના બ્લોધન ગામે થયા હતા અને તેઓને દોઢ વર્ષનો પુત્ર તથા બે વર્ષની પુત્રી છે. માતાના મરણથી આ બંને ભૂલકાઓએ છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ પિતા શિવાભાઈએ પોતાની બે જુવાનજોધ દીકરીઓ ગુમાવતા પરિવાર પર પહાડ જેવું દુઃખ આવી પડ્યું છે, આ ઘટનાને પગલે વાલ્મિકી સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે
આ પણ વાંચો: મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત


