શુધ્ધ ભાષાઓની જનની સંસ્કૃત બોલનારા દેશમાં માંડ 24,000 : ભગવતસિંહજીને યુરોપમાં અંગ્રેજીનો નહીં, ભગવદ્ ગોમંડળનો વિચાર આવ્યો હતો: ગુજરાતી ભાષા આશરે 900 વર્ષ પુરાની
રાજકોટ, : આવતીકાલ તા. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન છે ત્યારે ગુજરાતની માતૃભાષામાં માત્ર શિક્ષણમાં નહીં, સરકારી કામકાજોમાં પણ દીન બની રહી છે. અંગ્રેજોથી તો ભારતને ઈ.સ. 1947માં આઝાદી મળી ગઈ પણ અંગ્રેજી ભાષાની નિર્ભરતા એટલી છે કે માતૃભાષામાં સાહજિક રીતે બોલનાર,સમજનારાને આજે પણ તેનાથી સંવાદ સાધવામાં મૂશ્કેલી પડે છે.
ગુજરાતી ભાષાનો ઈતિહાસ આમ તો આશરે 900 વર્ષ જુનો છે જે પ્રાકૃત ભાષામાંથી ઉતરી છે અને રાજસ્થાની ભાષાના મૂળ પણ તેમાં છે, ઈ.સ. 1200 આસપાસ ગુર્જરોના વખતની ભાષા બાદમાં ઈ. 1500 પછી પરિવર્તન આવ્યું અને વર્તમાન ગુજરાતી આશરે ઈ. 1800 આસપાસ શરૂ થઈ હતી. ગુજરાતી કવિ,સાહિત્યકારોએ આ ભાષાની દિવ્યતા,ભવ્યતાને અનેક ગ્રંથોમાં વ્યક્ત કરી છે. જો કે, ગુજરાતી હોય કે બંગાળી કે તમિલ મોટાભાગની શુધ્ધ ભાષાઓની જનની સંસ્કૃત ભાષા ગણાય છે જે દેવોની ભાષા એટલે કે પ્રાચીનત્તમ છે. સંસ્કૃત ભાષાને ભારત સરકારે તા.25-11-2025ના શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપી છે, તાજેતરમાં ગત તા. 2ના સરકારે જાહેર કર્યા મૂજબ દેશમાં સંસ્કૃત બોલનારાની સંખ્યા આજે માત્ર 24,000 છે.
ગોંડલમાં ઈ. 1865માં જન્મેલા મહારાજા ભગવતસિંહજી ઈ. 1883માં યુરોપ પ્રવાસે ગયા હતા. આમ તો યુરોપમાં ફરનાર અંગ્રેજી બોલવામાં ગૌરવ માનવા લાગે પણ મહારાજાને ત્યાંના પ્રવાસ દરમિયાન ગુજરાતી શબ્દકોષનો વિચાર સ્ફુર્યો અને તેમાંથી ભગવદ ગોમંડળની રચના થઈ. મહારાજાએ એટલી મહેનત કરી કે તેમને લોકો (શબ્દ)કોશઘેલા કહેતા, ઘરગથ્થુ,વીસરાતા,તળપદા શબ્દો મેળવવા સતત તત્પર રહેતા અને તે શબ્દ હાથવગુ સાધન ન હોય તો હથેળી કે રદ્દી કાગળના ટુકડા પર ટપકાવી લેતા અને 20,000 શબ્દોનો ભડાર સર્જાયો.
પરંતુ, આજે તો ગુજરાતીઓ માટેનું બજેટ પ્રવચન હોય કે અન્ય રજૂઆત, રિડેવલપમેન્ટ,પર ડ્રોપ મોર ક્રોપ, લોકલ ફોર વોકલ, લોજિસ્ટીક એન્ડ ટ્રંક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વન સ્ટેટ, ગ્લોબલ ડેસ્ટીનેશન, આઈ હબ ,કન્સલટન્સી જેવા થોકબંધ અંગ્રેજી શબ્દપ્રયોગ સામાન્ય છે. રાજકોટમાં શ્રી રામના નામ પાછળ પણ બ્રિજ લાગે. સેન્ટર, રિજીયોનલ, સમિટ જેવા શબ્દોનું જાણે ગુજરાતી થતું જ નથી. ગ્રામ્ય પ્રજા માટેની પંચાયતમાં પણ ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની ભરમાર જોવા મળે છે.


