Gujarat

હિંમતનગર-પ્રાંતિજમાં ખનીજ વહન કરતા ત્રણ ટ્રક પકડાયા

By GS Team
4 Feb 20221 min read
This article was originally published on 4 Feb 2022
હિંમતનગર-પ્રાંતિજમાં ખનીજ વહન કરતા ત્રણ ટ્રક પકડાયા

હિંમતનગર તા. 3

સાબરકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ગુરૂવારે પણ ખનીજ ચોરો વિરૂધ્ધ સપાટો બોલાવી બિન અધિકૃત રીતે કાર્બોસેલ ખનીજ વહન કરતા બે ટ્રકોને હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી તેમજ પ્રાંતિજના સીતવાડા ગામેથી રોયલ્ટી પાસ કરતા વધુ રેતી ખનીજનો જથ્થો ભરી પસાર થતા એક ટ્રક સહિત ત્રણ ટ્રકોને ઝડપી લઈ ખનીજ ચોરો વિરૂધ્ધ  કાર્યવાહી કરી છે.

જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીની સુચના અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમે હિંમતનગરના મોતીપુરા સર્કલ પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતુ. આ ચેકીંગ દરમ્યાન મોતીપુરા સર્કલ પાસેથી રોયલ્ટી પાસ વિના કાર્બોસેલ ખનીજ ભરી નીકળેલા ડમ્પર નં.જીજે.૦૩.બી.વાય.૨૧૨૧ને ઝડપી લીધુ હતુ. જેમાં ૩૪.૫૫૦ મે.ટન કાર્બોસેલ ખનીજનો જથ્થો ભર્યો હતો. જયારે ટીમે આર.ટી.ઓ. સર્કલ પાસેથી બીજુ કાર્બોસેલ ખનીજ ભરેલ ડમ્પર નં. એચ.૬.ઈ.૪.ઈ.ડી.૧૩૨ને પણ ઝડપી લીધુ હતુ.

જેમાં પણ રોયલ્ટી પાસ વિના ૩૪.૫૫૦ મે.ટન કાર્બોસેલ ખનીજનો બિન અધિકૃત જથ્થો વહન થઈ રહ્યો હતો.

આ ઉપરાંત ટીમે પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના એક મંદિર પાસેથી ડમ્પર નં. જીજે.૧૮.બી.ટી. ૬૮૪૮ને ચેક કરી ઝડપી લીધુ હતુ. જે ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતા ૧૦.૩૦૦ મે.ટન વધુ સાદી રેતી ખનીજનો જથ્થો ભરી ડમ્પર જતુ હોય કબ્જે કરાયુ હતુ જેને સીતવાડા ખાતે સીઝ કરાયુ છે.  જયારે કાર્બોસેલ ભરેલા ડમ્પરોને દેધરોટાના સ્ટોક યાર્ડ ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગે ખનીજ માફીયાઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.