Gujarat

જામનગર જિલ્લાના ધ્રોળ-કાલાવડ અને લાલપુરમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના અપ-મૃત્યુ

By GS Team
28 Oct 20212 mins read
This article was originally published on 28 Oct 2021
જામનગર જિલ્લાના ધ્રોળ-કાલાવડ અને લાલપુરમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના અપ-મૃત્યુ

- ધ્રોળ નજીક બે મોટર સાયકલ અથડાઇ પડ્યા પછી એકનું મૃત્યુ: અન્ય ત્રણને ઇજા

- કાલાવડ નજીક બે મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં એક બાઇકચાલક યુવાનનું ગંભીર ઇજા થયા પછી મૃત્યુ: અન્ય એકને ઈજા

- લાલપુરના નજીક રીંજપર ગામ પાસે બાઈક અને છોટા હાથી વાહન વચ્ચેના અકસ્માતમાં દંપત્તિ ખંડીત: પતિનું મૃત્યુ

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

જામનગર જિલ્લા છેલ્લા 24 કલાક દરમિયાન લાલપુર-કાલાવડ અને ધ્રોલ પંથકમાં જુદાજુદા ત્રણ વાહન અકસ્માત સર્જાયા છે, અને ત્રણેય વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજયા છે. ઉપરાંત અન્ય પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. જામનગર લાલપુર ધોરીમાર્ગ પર રીંજપર ગામના પાટિયા પાસે છોટા હાથી અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક દંપતી ખંડિત થયું છે, અને પત્નીની નજર સમક્ષ પતિનું મૃત્યુ નિપજયું છે.

લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા રામદેવભાઈ સોમાતભાઈ વસરા (50) ગઈકાલે પોતાના પત્ની લાખીબેનને બાઈક પર બેસાડીને રીંજપર ગામેથી આવી રહ્યા હતા.જે દરમિયાન માર્ગમાં એક ગોલાઇ પાસે પૂરપાટ વેગે આવી રહેલા જી.જે. ટી.વી.0244 નંબરના છોટા હાથીના ચાલકે ટક્કર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક રામદેવભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેમના પત્ની લાખીબેનની નજર સમક્ષ જ કરણ મૃત્યુ નિપજયુ હતું, ઉપરાંત લાખીબેન પણ ઇજાગ્રસ્ત બન્યા છે, અને તેઓને સારવાર અપાઇ રહી છે.

અકસ્માતનો બીજો બનાવ ધ્રોલ પંથકમાં બન્યો હતો. ધ્રોલ હાઇવે રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાઇ પડતાં જી.જે.-18 જે 0902નંબરના બાઇકચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવાનને ઈજા થઈ છે. આ ઉપરાંત સામેથી આવી રહેલા જી.જે.10એ.એફ.855 નંબરના બાઇકચાલક રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ તેના ભત્રીજા વીરભદ્રસિંહ જાડેજાને નાની-મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને આ અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ કાલાવડ નજીક ધુનધોરાજી ગામ પાસે બન્યો હતો જ્યાં બે મોટર સાયકલ સામસામે અથડાઇ પડતાં જી.જે.11એ.આર.7567 નંબરના બાઇકના ઝલક ગોલ મામદભાઇ નુરમામદ હાલાને ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારે તેમના પુત્ર સોહાનને ઈજા થઈ છે આ બનાવ અંગે સામેથી આવી રહેલા જી.જે.-10એ.એચ.7860 નંબર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.