વડોદરાઃ વડોદરાના અનગઢ વિસ્તારમાં ગઇરાતે સગીર વયની ત્રણ વિદ્યાર્થિનીઓ ફસાતાં નંદેસરી પોલીસ તેમની મદદે આવી હતી અને સુરક્ષિત રીતે તેમના વાલીઓને સોંપી હતી.
ખેડાના મહુધા વિસ્તારના એક ગામની ત્રણ વિદ્યાર્થિનીઓએ હોમ વર્ક નહિ કર્યું હોવાથી સ્કૂલમાં બંક મારવાનું નક્કી કર્યું હતું.પરંતુ આ પગલું તેમને ખૂબ ભારે પડયું હતું.સારાનસીબે ત્રણેય વિદ્યાર્થિનીઓએ મસાણી માતાના મંદિરે આશરો લેતાં તેમને મદદ મળી રહી હતી.
સ્કૂલે ના જવું પડે તે માટે ત્રણેય વિદ્યાર્થિનીઓ રિક્ષામાં વાસદ આવી હતી.ત્યાં થોડા કલાક કાઢ્યા બાદ ત્રણેય બહેનપણી અનગઢના મસાણી માતાના મંદિરે પહોંચી હતી.જ્યાં રાત પડી જતાં ગભરાઇ ગઇ હતી. ઘેર ઠપકો મળશે તેવો ડર પણ હતો અને ઘેર જવા માટે રસ્તાની પણ ખબર નહતી.અવાવરુ વિસ્તાર હતો અને કોઇ વાહન મળે તેમ ન હતું.જેથી ત્રણેય ફસાઇ ગઇ હતી.
આ અંગે નંદેસરીના ઇન્ચાર્જ પીઆઇ આરએલ પ્રજાપતિને જાણ થતાં તેમણે ત્રણેય વિદ્યાર્થિનીઓને પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સાથે રાખી કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ તેમના વાલીઓનો સંપર્ક કર્યો હતો અને ખરાઇ કરીને સુરક્ષિત રીતે ત્રણેયને સોંપી હતી.


