Get The App

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય 1 - image

ભાવનગર રોડ ઉપર એસ.ટી. બસ ચાલક ઉપર હુમલો

બે રિક્ષાચાલકોએ કાંઠલો પકડી તમાચા ઝીંકી દીધા, મોબાઈલ પણ પાડી દીધો

રાજકોટ: એસ.ટી. બસને નુકશાન કર્યા બાદ બે રિક્ષાચાલકોએ એસ.ટી.ના ડ્રાઈવર કૃષ્ણરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ (ઉ.વ.૩પ, રહે. હડમતાળા, તા.ઉમરાળા) ઉપર હુમલો કરી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

ભૂજ ડેપોમાં કૃષ્ણરાજસિંહ નોકરી કરે છે. આજે વહેલી સવારે કંડકટર મહેશભાઈ ઝાપડીયા સાથે ભૂજથી ગઢડા રૂટની બસ લઈ નીકળ્યા હતા. રાજકોટ બસ પોર્ટથી ગઢડા જતા હતા ત્યારે ભાવનગર રોડ પર પોલિટેકનિક કોલેજની સામે સાઈડ કાપવા જતાં રિક્ષા બસમાં અથડાઈ હતી. જેથી ઈન્ડિકેટરમાં અને ડાબી બાજુના પતરામાં નુકશાની થઈ હતી. ચાલક પાસે ખર્ચ માગતા શરૂઆતમાં તેણે આપવાની તૈયારી બતાવી હતી. 

ત્યાર પછી કોઈને કોલ કરતા બીજી રિક્ષા આવી પહોંચી હતી. બંને રિક્ષાચાલકોએ ભેગા મળી ઝઘડો કર્યો હતો. જેનો વીડિયો ઉતારવાનું શરૂ કરતાં મોબાઈલ પાડી દીધો હતો. એટલું જ નહી બેફામ ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. સાથો-સાથ કહ્યું કે આ રૂટ ઉપર નીકળવું હોય તો શાંતિથી બસ જવા દેવી પડશે. આ પછી કોલર પકડી તમાચા ઝીંકી દીધા હતા. શર્ટના બટન તોડી નાખ્યા હતા. મુસાફરો નીચે ઉતરી જતાં બંને રિક્ષાચાલકો ભાગી ગયા હતા. 

તત્કાળ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. મુસાફરોને બીજી બસમાં રવાના કર્યા બાદ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  ઝઘડા વખતે બંને રિક્ષાચાલકોએ એમ પણ કહ્યું કે એસ.ટી. બસમાં આવા સામાન્ય સ્ક્રેચ તો પડે, તેના માટે કોઈ ખર્ચો આપવાનો ન હોય. નંબરના આધારે પોલીસે બંને રિક્ષાચાલકોની શોધખોળ શરૂ કરી છે.