Gujarat

રાષ્ટ્રભક્તોનું સ્મરણ અને નમન કરવાનો સમય એટલે આઝાદીનો અમૃત મહોત્સવ: CM વિજય રૂપાણી

By GS Team
14 Aug 20212 mins read
This article was originally published on 14 Aug 2021
રાષ્ટ્રભક્તોનું સ્મરણ અને નમન કરવાનો સમય એટલે આઝાદીનો અમૃત મહોત્સવ: CM વિજય રૂપાણી

જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે આજે સાંજે રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશ ૭૫માં સ્વાતંત્ર્ય  પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દેશ માટે શહીદી વહોરી આઝાદી અપાવનાર રાષ્ટ્રભક્તોને સ્મરણ કરી તેને  નમન કરવાનો સમય છે. જયારે રાજ્યપાલે જૂનાગઢ પવિત્ર, ભલા અને શ્રેષ્ઠ લોકોની ભૂમિ છે. જયાં જેનો જન્મ થયો તે ભાગ્યશાળી છે.

આવતીકાલે ૧૫ ઓગષ્ટના સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે રાજ્યપાલ આચાર્ય દેવજીવન, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની  ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇએ નરસિંહ મહેતાની નગરી અને ગિરનારની પવિત્ર ભૂમિ પરથી લોકોને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી  હતી. બાદમાં તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે હાલ આપણે આઝાદીના ૭૫ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. જેના લીધે આઝાદીની મુકત હવા લોવાની તક મળી  છે તેવા રાષ્ટ્રભક્તો અને વીર શહીદોને  સ્મરણ કરી તેઓને નમન કરવાનો સમય છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, સ્વરાજ મળી ગયું. આપણે સુરાજ્ય તરફ આગળ વધવાનું છે. રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરે છે. તેમાં કલાઇમેટ ચેન્જની વાત  હોય, પાણી, હેપ્પીનેસ ઇન્ડેક્ષ હોય તે માટે કામગીરી થઇ રહી છે. સરકાર લોકોને વટથી નહી વિનમ્રતાથી સાથે ગુજરાત સલામત, સમૃધ્ધ, સુખી સંપન્ન, સંસ્કારી અને પ્રતિષ્ઠિત બને તે  દિશામાં આગળ વધી રહ્યું છે.

જયારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ૭૫માં સ્વાતંત્ર્યતા પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને શુચ્ચ્છા પાઠવી હતી. તેઓએ જૂનાગઢને મુકત કરાવવા આરઝી હકુમતના ક્રાતિકારીઓનું  સ્મરણ કરી તેઓને નમન કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે દેશમાં ભાઇચારો, સહિષ્ણુતા, સન્માનની ભાવના ઉજાગર થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને. તેઓએ નરસિંહ  મહેતા, શ્યામજી કૃષ્ણવર્મા, ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન સપૂતોને યાદ કર્યા હતા.

જૂનાગઢ વિશે રાજ્યપાલે જણાવ્યું હતું કે, જૂનાગઠ પવિત્ર, ભલા અને શ્રેષ્ઠ લોકોની ભૂમિ છે. જૂનાગઢમાં જેનો જન્મ થયો તે ભાગ્યશાળી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણો પ્રદેશ નશામુક્ત, ઝેરમુક્ત, પ્રાકૃતિક ખેતી ધરાવતો અને સમૃધ્ધ બને તેમ જણાવ્યું હતું.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત થનાર લોકો

(૧) લાભશંકર દવે - સ્વાતંત્ર્ય સેનાની, (૨) રાજભા ગઢવી - સાહિત્યકાર, (૩) પ્રો. પ્રધ્યુમન ખાચર - ઇતિહાસવિદ, (૪) હાજી રમકડુ - જાણીતા ઢોલક વાદક, (૫) લાલા પરમાર - ગિરનાર સ્પર્ધાના વિજેતા, (૬) દેવકુમાર આંબલીયા - ગિરનાર સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર, (૭) પરસોતમ સિદપરા - પ્રગતિશીલ ખેડૂત, (૮) હિતેષ દોમડીયા - પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત