Get The App

સોમનાથમાં ગુંજી ઉઠયો શિવભક્તિનો નાદ દેવાધિદેવના ત્રણ લાખ ભાવિકોએ દર્શન કર્યા

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથમાં ગુંજી ઉઠયો શિવભક્તિનો નાદ દેવાધિદેવના ત્રણ લાખ ભાવિકોએ દર્શન કર્યા 1 - image

મંદિર પરીસરમાં નીકળી ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા, વેરાવળમાં યોજાઇ શિવજીની શોભાયાત્રા

જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરે એક દિવસમાં ૬૮ ધ્વજારોહણ, ૨૦૭૭ રૂદ્રાભિષેક અને ૧૦૮ સોમેશ્વર મહાપુજા સહિતના આયોજનો, ચાર પ્રહરની મહાપુજાનો દેશ-વિદેશના ભક્તોએ લાભ લીધો

વેરાવળ: જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે હજારો દર્શનાર્થીઓએ ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી વિશ્વશાંતીની ભાવના વ્યક્ત કરી હતી. દર વર્ષની માફક આજે અનેક શ્રદ્ધાળુ ભાવિકો સોમનાથ, વેરાવળ, સુત્રાપાડાથી પગપાળા દેવાધિદેવના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ચાર પ્રહરની પુજા સાથે આખી રાત મહાપુજા ચાલતી રહી હોવાને લીધે અંદાજે ત્રણ લાખ ભાવિકોએ મહાશિવરાત્રી પર્વના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભોળા શંકરની ઉપાસનાનો વિશિષ્ટ મહિમા રહ્યો છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી અહીં દ્વાદશ જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ સોમનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધા-ભક્તિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા થાય છે. આજે અહીં સોમનાથ મંદિરે ૬૮ ધ્વજારોહણ, ૨૦૭૭ રૂદ્રાભિષેક, ૧૦૮ સોમેશ્વર મહાપુજા, ૧૦૧ પાઠાત્મક લઘુરુદ્ર પર મહાપુજા સામગ્રી અર્પણ, ૮૭૧ મહામૃત્યુંજયનાં જાપ, ૩૦૦૦થી વધુ પાર્થેશ્વર શિવલીંગ પૂજન સહિતની પૂજાવિધિ યોજાઇ હતી.

વહેલી સવારે ૪ વાગ્યે હર હર મહાદેવના નાદ સાથે મંદિરના દર્શન ખુલતા જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. સવારે ૫ વાગ્યે પ્રાતઃપુજા, ૭ વાગ્યે પ્રાતઃઆરતી બાદ મહામૃત્યુંજય યજ્ઞા, નુતનધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, પાલખીયાત્રા, શોભાયાત્રા, મધ્યાહન મહાપુજા, મધ્યાહન આરતી, શ્રૂંગાર દર્શન, હોમાત્મક લઘુરૂદ્ર, જ્યોત પુજન બાદ સાયં આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રાત્રિ દરમિયાન ભગવાન ભોળાનાથની આરાધના સાથે ચારે-ચાર પ્રહરની પુજાવિધિ ચાલતી રહી હતી. પ્રથમ પ્રહરની આરતી રાત્રે ૯ઃ૩૦ કલાકે, દ્વિતીય પ્રહરની આરતી મધરાતે ૧૨ઃ૩૦ કલાકે, તૃતીય પ્રહરનું પુજન રાત્રે ૨ઃ૪૫ કલાકે અને આરતી રાત્રે ૩ઃ૩૦ કલાકે જ્યારે ચતુર્થ પ્રહરનું પુજન રાત્રે ૪ઃ૪૫ વાગ્યે શરૂ કર્યા બાદ વહેલી સવારે ૫ઃ૩૦ કલાકે ચતુર્થ પ્રહરની આરતી સાથે મહાશિવરાત્રી પર્વનાં કાર્યક્રમો પરીપુર્ણ થયા હતા.

સોમનાથ તિર્થના પંચમહાભુતની અનુભુતિ કરાવતી પાર્થિવ શિવલીંગ પુજા પાર્થેશ્વર પુજન સમૃદ્રતટે યોજવામાં આવી હતી. જેમા ૩ હજારથી વધુ શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતા. જ્યાં સોમનાથ તિર્થને નિર્મળ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. દર વર્ષની માફક આ વર્ષે મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને ભોંય સમાજ દ્વારા વેરાવળના ભૈરવનાથ ચોકમાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. સોમનાથ પરીસરમાં દેવાધિદેવની પાલખીયાત્રા નીકળી હતી તથા વેરાવળમાં કાશી વિશ્વનાથ મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. કોળી વાડામાં કેદારેશ્વર મહાદેવની શોભાયાત્રા ત્રણેય કોળી વાડામાં ફરીને મંદિરે પરત ફરી હતી.

સોમનાથ મંદિર ઉપરાંત ત્રિવેણી સંગમ, ગીતામંદિર, મહાપ્રભુજીની બેઠક, ભીડભંજન મહાદેવ, ભાલકાતિર્થ, વેરાવળના બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક પૌરાણિક શિવ મંદિરોમાં આજે દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓએ યાત્રાળુઓ માટેની વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો.