Gujarat

વડોદરામાં ફાયર બ્રિગેડની જૂની અને જર્જરીત બનેલી બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે

By GS Team
29 Oct 20212 mins read
This article was originally published on 29 Oct 2021
વડોદરામાં ફાયર બ્રિગેડની જૂની અને જર્જરીત બનેલી બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે

- બિલ્ડીંગ સ્ટ્રકચર ખુબ જ જોખમી છે તેવો સ્ટ્રક્ચરલ એન્જિનિયરે રિપોર્ટ આપતા બિલ્ડીંગ તોડી પડાશે

વડોદરા,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર

વડોદરામાં દાંડિયાબજાર ચાર રસ્તા પાસે આવેલી ફાયર બ્રિગેડની બિલ્ડીંગ ખૂબ જ જૂની અને જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં  હાલનું સ્ટ્રક્ચર ખૂબ જ જોખમી હાલતમાં છે અને સંપૂર્ણપણે તોડી પાડવા અભિપ્રાય આપેલો છે. આ બિલ્ડિંગનું તમામ મટીરીયલ બિન ઉપયોગી છે. તેના આરસીસી સ્ટીલના સળિયા પણ કટાઈ ગયા છે. આ બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી માટે ખર્ચનો અંદાજ જે તે સમયે જૂની અને જર્જરીત મિલકતોને નીચે ઉતારી લેવા વાર્ષિક ઈજારા પૈકી આશરે રૂપિયા 10 લાખનો બનાવવામાં આવેલો હતો. જે તે સમયે આ ખર્ચને વહીવટી તેમજ નાણાંકીય મંજૂરી મળી હતી. બિલ્ડીંગની ડિમોલિશનની કામગીરી જો વાર્ષિક ઈજારા પૈકી કરાવવામાં આવે તો ઇજારદારને રૂપિયા 10 લાખ આપવા પડે અને કોર્પોરેશન માથે આર્થિક ભારણ પણ વધે  તેમ હતું.

આ બિલ્ડિંગની ડિમોલિશનની કામગીરી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર )સાથે ચર્ચા થતા કોર્પોરેશનને કોઈ ખર્ચ ના થાય તે મુજબ આ કામગીરી કરવાના અનુભવી પાસેથી ઓફરો મંગાવવામાં આવી હતી. એક એજન્સી આ કામગીરી કોઈપણ પ્રકારના પેમેન્ટ વિના તૈયાર થઈ છે. જે ડિમોલિશન કરી લોખંડના સળીયા તથા તમામ ભંગાર કાટમાળ જગ્યા સાફ  કરીને લઈ જશે .જોકે લાકડાનો સામાન નીકળે તે કોર્પોરેશનમાં જમા કરાવવાનું રહેશે. જે બીજી એજન્સી છે તે સળિયા, લાકડા તથા જગ્યા સાફ કરી તમામ કાટમાળ લઈ જવા ઉપરાંત કોર્પોરેશન પાસેથી કામગીરીના રૂપિયા 65 હજાર માંગ્યા હતા. જેથી પ્રથમ એજન્સીને કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે.