સાંતલપુર મહિલાના મોત બાદ લોકોએ ટ્રક સળગાવી દીધો હતો : હુમલા અંગે 11 શખ્સ સામે ગુનો દાખલઃ ટ્રકમાં રાખેલા 1.35 લાખ સળગી ગયા કે કોઈ લઈ ગયું?, તપાસનો ધમધમાટ
જૂનાગઢ, : વંથલી તાલુકાના સાંતલપુર ગામે ટ્રક હડફેટે મહિલાનું મોત નીપજયું હતું. અકસ્માત સંદર્ભે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને માર મારી ટ્રક સળગાવી દીધો હતો. હુમલા સંદર્ભે ટ્રક ચાલકે 11 શખ્સો વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વધુ વિગત મુજબ સાંતલપુર ગામે ઓઝત નદીમાં આવેલી લીઝમાં રેતી ભરવા જતી વખતે ટ્રકે મોટરસાયકલને ઠોકરે ચડાવતા મોટરસાયકલ પાછળ બેસેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ટ્રક ચાલક પ્રકાશ ભેડાને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત અજાણ્યા ૭થી 8 ઇસમોએ એક જૂથ થઈ ગાળો ભાંડી ટ્રક ચાલકને મારી નાખવા પેરવી કરી હતી. જીવ બચાવવા ટ્રક ચાલકે એક કિલોમીટર સુધી દોટ મૂકી હતી. પરંતુ પાછળ દોડેલા લોકોએ તેને પકડી લઈ લાકડી, કુહાડી અને ધાતુના બેલ્ટ વડે માર માર્યો હતો તેમજ ટ્રકને સળગાવી દીધો હતો. ઘટના સંદર્ભે ટ્રક ચાલક પીઠાભાઈ ભેડાએ બાબુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડાના બાપા, રવિ ભુવા તથા અજાણ્યા ત્રણથી ચાર ઈસમો સહિત કુલ 11 શખ્સો સામે ટ્રકને સળગાવી તથા ટ્રકના ડેક્સ બોર્ડના ખાનામાં રાખેલા કાંટા ચિઠ્ઠી, બીલ તથા રૂ. 1.35 લાખની રોકડ સળગાવી દીધાની કે કોઈ લઈ ગયા અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


