Gujarat

બહુચરાજી અને શંખલપુર મંદિરના દ્વાર આજથી ખુલશે

By GS Team
15 Jun 20202 mins read
This article was originally published on 15 Jun 2020
બહુચરાજી અને શંખલપુર મંદિરના દ્વાર આજથી ખુલશે

ચાણસ્મા તા. 14 જૂન, 2020, રવિવાર

યાત્રાાધામ બહુચરાજી અને શંખલપુર સ્થિત બહુચર માતાજીના મંદિરો ૮૯ દિવસ બાદ સોમવારથી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિગની પુરતી વ્યવસ્થા સાથે ખુલ્લા મુકવામાં આવનારા મંદિરમાં શ્રદ્ધાળુ માત્ર દર્શનનો લાભ લઇ શકશે. ચૌલકિયા આદિ ધાર્મિક વિધી ઉપર પ્રતિબંધ રખાયો છે.  જ્યારે માઇભક્તો આરતીમાં પણ ભાગ નહી લઇ શકે.

કોરોના મહામારીને લઇ અપાયેલા લોકડાઉનના કારણે ૨૨ માર્ચથી બંધ કરાયેલ બહુચરાજી સ્થિત બહુચર માતાજીનું મંદિર આવતીકાલ સોમવારથી ખુલ્લુ મુકાશે.  મંદિરમાં સવારે ૮થી ૧૨ અને બપોરે ૨થી ૬ વાગ્યા સુધી દર્શન થઇ શકશે. તે માટે ચૈત્રી પ્રવેશ દ્વાર પોલીસલાઇનની બાજુથી હેન્ડવોશ અને થર્મલ સ્કિનિંગ બાદ પ્રદેશ અપાશે. પુરૃષ અને મહિલાઓની અલગ લગલ લાઇન માટે બેરીકેટિંગની વ્યવસ્થા કરાઇ છે. શ્રદ્ધાળુઓએ દક્ષિણ દ્વારથી બહાર નીકળવાનું રહશે. ઉત્તર અને પ્રશ્ચિમ કુંડતરફનો દરવાજો બંધ રહેશે. મંદિરમાં યાત્રિક શ્રીફળ, ચુંદડી જેવી કોઇપણ ચીજવસ્તુ અંદર નહીં લઇ શકે. ચૌલક્રિયા સહિતની ધાર્મિકવિધિ પણ બંધ રાખવામાં આવી છે.  નવી સુચના ન મળે ત્યા સુધી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જ્યારે બહુચરાજીથી ૨ કિમીના અંતરે આવેલા શંખલપુર સ્થિત ૫૨૦૦ વર્ષ પ્રાચિન બહુચર માતાજીના મંદિરમાં દ્વારા પણ સોમવારથી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. અહીં મંદિરમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝર ટનલમાંથી પસાર થવાનું રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે સર્કલ તૈયાર કરાયા છે. મંદિર દ્વારા સવારે ૮થી સાંજના ૬ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રહેેશે. આરતીમાં કોઇ ભાગ નહીં લઇ શકે. અન્નક્ષેત્ર પણ બંધ રહેશે તેમ શ્રી ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઇ પટેલ અને ટ્રસ્ટી મોહનભાઇ દેસાઇએ  જણાવ્યું હતું.