મ્યુનિ.કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતા આજથી મનપાનો વહીવટ વહીવટદારના હાથે સોંપાયો છે. જીયુવીએનએલના એમડી શાલિની અગ્રવાલે આજે સાંજે મ્યુનિ.કોર્પોરેશનની કચેરી ખાતે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના મ્યુનિ. કમિશ્નર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. મ્યુનિ. કમિશ્નર અરુણ મહેશ બાબુ અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે મનપામાં રજા હોવા છતાં તેઓએ મેયરની કેબિનમાં પહોંચીને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. હવે નવું બોર્ડ રચાય ત્યાં સુધી તમામ વહીવટી અને નીતિગત નિર્ણયો વહીવટદાર દ્વારા લેવાશે.


