Get The App

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી 1 - image

વડોદરાઃ નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે  પાઠય પુસ્તકોની અછતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ જ નહીં પણ હવે તો ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યો પણ ચિંતામાં છે.

કારણકે ગુજરાત બોર્ડની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના પાઠય પુસ્તકો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે.સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં પાઠય પુસ્તકો સ્કૂલોને મળી જતા હોય છે.સ્કૂલો દ્વારા પાઠય ુુપુસ્તકોનું વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ શરુ થાય તેના પહેલા જ દિવસે વિતરણ કરી દેવાતું હોય છે.

જોકે આ વર્ષે મે મહિનો પૂરો થઈ ગયો અને જૂન મહિનો શરુ થઈ ગયો પણ સ્કૂલોમાં હજી સુધી પાઠય પુસ્તકો પહોંચ્યા નથી.સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને પણ ખબર નથી કે પાઠય પુસ્તકો ક્યારે મળશે.બીજી તરફ દર વર્ષે પાઠય પુસ્તકો નિઃશુલ્ક મળતા હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બજારમાંથી પાઠય પુસ્તકો ખરીદતા નથી.

શહેરની એક ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, અમને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે શાળા પ્રવેશોત્સવ પહેલા સ્કૂલોને પાઠય પુસ્તકો મળી જશે પણ પ્રવેશોત્સવ તા.૨૦ જૂનથી શરુ થવાનો છે અને નવું શૈક્ષણિક વર્ષ તા.૮ જૂનથી શરુ થવા જઈ રહ્યું છે .એ પહેલા જો સ્કૂલોને પાઠય પુસ્તકો નહીં મળે તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરુ કરવામાં મુશ્કેલી ઉભી થશે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલો માટેના અંગ્રેજી માધ્યમના પણ ધો.૩ થી ૧૨ના પાઠય પુસ્તકો હજી બજારમાં પહોંચ્યા નથી.