વડોદરા,ઉછીના આપેલા સાડા ચાર હજાર રૃપિયાની ઉઘરાણીમાં ૧૭ વર્ષના કિશોરને માર મારી ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે દિવસ પહેલા મારો ૧૭ વર્ષનો પુત્ર ઘરેથી એવું કહીને નીકળી ગયો હતો કે, હું મારા મિત્રો પાસે પૈસા લેવા જઉં છું. ત્યારબાદ રાત્રે સાડા દશ વાગ્યે મને ખબર પડી કે, મારા દીકરાને માર મારી એલ એન્ડ ટી સર્કલની બાજુમાં આવેલા મોલની પાછળ નવી બંધાતી સાઇટ પર ફેંકી દીધો છે. જેથી, હું ત્યાં દોડી ગયો હતો. મારો દીકરો ખાડામાં પડયો હોઇ મેં ફાયર બ્રિગેડને કોલ કરી મારા દીકરાને બહાર કાઢ્યો હતો. હોસ્પિટલમાં સારવાર પછી ભાનમાં આવેલા મારા દીકરાએ મને જણાવ્યું હતું કે , પીળા વુડાના મકાનમાં રહેતા મારા મિત્રને ઉછીના આપેલા રૃપિયા લેવા હું જતો હતો. તે દરમિયાને તેણે મારી સાથે ઝઘડો કરી માથામાં પાઇપ મારી દીધી હતી. ત્યારબાદ હું રિક્ષામાં ઘરે આવતો હતો.ત્યારે તેઓએ મારો પીછો કરી એલ એન્ડ ટી સર્કલ પાસે નવી બંધાતી સાઇટ પર લઇ ગયા હતા અને ફરીથી માર મારીને મને ખાડામાં ફેંકી દીધો હતો.


