Teacher Agitation In Gujarat: રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) તેમજ TAT પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે. આજે અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના જિલ્લામાં હજારો શિક્ષકોએ કલેક્ટર કચેરીઓ ગજવીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ: AMC શિક્ષકોની રેલી, પોલીસ સાથે ઘર્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓના સેંકડો શિક્ષકો આજે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠા હતા. શિક્ષકોએ એક વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષ 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે પેન્શન બંધ કરાતા 'જૂની પેન્શન યોજના' ફરી શરૂ કરવાની માંગ છે. આ ઉપરાંત, વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકો માટે પણ સરકારે TET પરીક્ષા ફરજિયાત બનાવીને હકો અટકાવી દેતા શિક્ષકો નારાજ છે.
પોલીસની કામગીરીથી રોષ: કલેક્ટર કચેરી બહાર શાંતિપૂર્ણ ધરણા માટે શિક્ષકોએ બાંધેલો મંડપ પોલીસે વચમાં આવીને ખોલાવી નાખતા શિક્ષકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પંચમહાલ: ગોધરામાં 1000થી વધુ શિક્ષકોના ધરણા
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન અને સર્કિટ હાઉસ સંકુલની બહાર પણ શિક્ષકોનો ભવ્ય મોરચો જોવા મળ્યો હતો. TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે અંદાજે 1000થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શિક્ષકોના હાથમાં સરકાર વિરોધી પ્લે-કાર્ડ્સ અને બેનરો જોવા મળ્યા હતા. જિલ્લા શિક્ષક સંઘના અગ્રણીઓની હાજરીમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો માંગ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
છોટાઉદેપુર: 2009ના જૂના શિક્ષકોના હકો માટે લડત
બીજી તરફ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. અહીં મુખ્ય લડત TET-1 પાસ જૂના શિક્ષકોના વહીવટી અને આર્થિક હકો માટેની છે.
વર્ષોથી વંચિત રાખવાનો આક્ષેપ
સંઘના જણાવ્યા અનુસાર, વર્ષ 2009માં વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા TET-1 શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ, બઢતી અને સેવા સબંધી અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
આગામી દિવસોમાં મોટા આંદોલનની એંધાણ
સમગ્ર રાજ્યમાં એકસાથે ઉઠેલા આ વિરોધના વંટોળ બાદ હવે શિક્ષક આલમની નજર રાજ્ય સરકારના વલણ પર મંડાયેલી છે. જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી શૈક્ષણિક કાર્યબહિષ્કાર કે મોટા આંદોલનની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.


