Get The App

નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ 1 - image

-  આગામી દિવસોમાં મહી સિંચાઈ વિભાગ અને મનપા કાર્યવાહી કરશે

- રહેણાંકનો ટેક્સ ભરી ગેરકાયદે ખાણીપીણીની હાટડીઓ અને સ્ટોલ પર તપાસ કરી માપણી હાથ ધરવામાં આવી

નડિયાદ : નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલી મહી કેનાલની આસપાસ રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલી મિલકતોમાં કોઈપણ પ્રકારની પરવાનગી વગર મોટા પાયે કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મિલકત માલિકો દ્વારા રહેણાંકનો ટેક્સ ભરીને વ્યવસાયિક એકમો ચલાવી મસમોટી ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. આ મામલે હવે મહાનગરપાલિકા અને મહી સિંચાઈ વિભાગ બંને સક્રિય થયા છે અને ગેરકાયદેસર બાંધકામો તેમજ સ્ટોલ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નડિયાદ શહેરમાં મોટી કેનાલ અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી નિયમોનું ઉલ્લંઘન કરીને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને કોલેજ રોડ પર આવેલી મહી કેનાલની બંને બાજુએ અત્યારે મોટી સંખ્યામાં ખાણીપીણીની હાટડીઓ અને સ્ટોલ ધમધમી રહ્યા છે. આ મામલે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસમાં મિલકતની માપણી કરતા માલિક દ્વારા ટેક્સ ચોરી કરાતી હોવાનું સામે આવ્યુ છે. અહીં કોમર્શિયલ સ્ટોલ અને શેડ સહિતની અનેક દુકાનો ખડકાઈ હોવા છતાં વર્ષોથી રહેણાંક મુજબનો જ મામૂલી ટેક્સ ચુકવીને પાલિકાની તિજોરીને મસમોટું નુકસાન પહોંચાડવામાં આવતું હતું. 

આ સમગ્ર પ્રકરણમાં તંત્રની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે. અત્યાર સુધી પાલિકાના અધિકારીઓની જાણ હોવા છતાં આ ગેરકાયદેસર દબાણો સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નહોતા. જોકે હવે પાલિકાની ટીમ એક્શનમાં આવી છે અને નવી વેરા પાવતી ફાડવાની સાથે કોમર્શિયલ વેરો ફટકારવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રહેણાંક મિલકતનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરવા માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી નહોતી, તેમ છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા. સ્થાનિક નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, આ વ્યવસાયિક એકમોના કારણે વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીના પ્રશ્નો વિકટ બન્યા છે.

બીજી તરફ કેનાલ પાસેની જગ્યામાં મોટા પાયે શેડ સહિતના બાંધકામ ખડકાયા હોવાથી મહી કેનાલ વિભાગ પણ સક્રિય થયો છે. સામાન્ય રીતે કેનાલની આસપાસની ૭૫ ટકા જગ્યા મહી કેનાલ હસ્તક આવતી હોય છે, જેમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું કાયદાકીય રીતે ગુનો બને છે. મહી સિંચાઈ વિભાગના અધિકારીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેનાલ પાસેની મિલકતોમાં ચાલી રહેલી અનધિકૃત પ્રવૃત્તિઓ ધ્યાને આવી છે. વિભાગ દ્વારા કેનાલની હદ અને રહેણાંક મિલકતોના દસ્તાવેજોની ચકાસણી કરીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની દિશામાં આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફાયરની પણ કોઈ સુવિધા નહીં

કોલેજ રોડ પર ધમધમતા આ ખાણીપીણીના સ્ટોલ અને વ્યવસાયિક એકમોમાં સુરક્ષાના નિયમોનું સદંતર ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં અહીં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ગેસ સિલિન્ડર અને ઇલેક્ટ્રિક વાયરિંગના જોખમી ઉપયોગ વચ્ચે જો કોઈ દુર્ઘટના ઘટે તેવી સંભાવના છે. જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા પણ આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વર્ષોથી થયેલા આથક નુકસાનની વસૂલાત અનિવાર્ય

છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાંક મિલકતોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરીને મહાનગરપાલિકાને જે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેની ભરપાઈ કેવી રીતે થશે તે પણ ચર્ચાનો વિષય છે. અત્યાર સુધી માત્ર રહેણાંક ટેક્સ ભરીને મસમોટો નફો કમાતા મિલકત માલિકો પાસેથી પાછલા વર્ષોનો તફાવત વસૂલવામાં આવશે કે, કેમ તે બાબતે પાલિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ.