Get The App

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસામા બહાર કચરાના ઢગલા

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસામા બહાર કચરાના ઢગલા 1 - image

સુરતના સૌથી જુના અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મશાન અશ્વનિકુમાર સ્મશાન ભૂમિ નજીક આવેલા મૃતદેહના વિસામાની આસપાસ ઉભરાતી કચરાપેટીના કારણે મોતનો મલાજો જળવાતો ન હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત કેટલાક ધાર્મિક સ્થળો અને સોસાયટી બહાર કચરાના ઢગ ના કારણે સુરત પાલિકાની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. અન્ય સ્થળો કરતા પણ પહેલા લોકોની લાગણી જોડાયેલી છે તેવા સ્થળોએ સફાઈની કામગીરી ત્વરિત કરી કચરાના ઢગ દુર કરવા  તથા કાયમી સફાઈ માટે માંગણી થઈ રહી છે. 

સુરતના અશ્વિનીકુમાર રોડ પર મહાભારત સમયે કુંતી પુત્ર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા તેવા સ્થળે હાલ અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ આવી છે. કોટ વિસ્તાર, વરાછા અને કતારગામ વિસ્તારમાં જે લોકોનું મૃત્યુ થાય છે તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. હિન્દુ ધર્મની વિધિ પ્રમાણે સ્મશાન પહેલા મૃતદેહને ઉતારવામાં આવે છે તેને વિસામો કહેવામાં આવે છે. અશ્વનિકુમાર રોડ પર આવેલા આ વિસામાં બાજુમા પાલિકાની કચરાપેટી છે. આ કચરા પેટીમાં આસપાસના લોકો જ નહીં પરંતુ કોમર્શિયલ એકમ આવ્યા છે તેઓ પણ ડોર ટુ ડોરની ગાડીને કચરો આપવાના બદલે કચરો આ કચરા પેટીમાં નાખી રહ્યા છે. 

આ કચરા પેટી ની ક્ષમતા કરતા અનેકગણો કચરો અહીં ઠલવાતો હોવાથી વિસામાની આસપાસ કચરાના ઢગ જોવા મળી રહ્યો છે. આ એક દિવસની નહી પરંતુ કાયમી સમસ્યા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. અહીં પાલિકાએ કચરાપેટી મુકી છે પરંતુ તેની સફાઈ યોગ્ય થતી નથી જેથી અહીં મૃતદેહ ઉતારવામાં આવે છે  પરંતુ આસપાસ કચરો ફેલાયો હોવાથી લોકોની લાગણી દુભાઈ રહી છે. અંતિમ વિસામો સ્થળે આવી ગંદકી અને કચરો હોવાથી લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

મૃતદેહ સાથે આવતા ડાઘુઓ અને સ્થાનિકો કહે છે આ જગ્યાએ કચરા પેટી મુકવામા આવી છે  તે કાયમ ઉભરાયેલી રહે છે અને તેની સફાઈ યોગ્ય રીતે થતી નથી જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે. લોકો કહે છે, આ જગ્યા સાથે લોકોની લાગણી જોડાયેલી છે ક્યાં તો પાલિકાએ કચરા પેટી હટાવવી જોઈએ અથવા તો કચરા પેટી ની સફાઈ સમયાંતરે કરવી જોઈએ.