Get The App

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત 1 - image

Two Youths Drown in Surat: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીંઢોળા નદીમાં નાહવા પડેલા પાંચ યુવકો પૈકી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

નદીમાં નાહવાની મજા સજામાં ફેરવાઈ

મળતી માહિતી અનુસાર, પાંચ મિત્રોનું એક ટોળું ઉતારા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા માટે ગયું હતું. નદીમાં નાહતી વખતે પાંચ પૈકીના બે યુવકો અચાનક પાણીના ઊંડા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં ડૂબવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નદીના ઊંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ છે. 

પરિવારમાં શોકનું મોજું

યુવાન જોટા જેવા બે પુત્રોના અકાળે અવસાનથી રામેશ્વર નગર અને તેગામ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદી કે નાળામાં અજાણ્યા સ્થળે પાણીમાં ન ઉતરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.