Get The App

સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન'ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન'ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ 1 - image

Surat Nasirnagar Demolition: ગુજરાતમાં ભાજપના રાજમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્રની જુગલબંધીએ સરકારની પ્રતિષ્ઠાનો ગ્રાફ એકદમ નીચે ઉતારી દીધો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં કાયદેસરની નોટિસ વિના, ખાખી વદીના પ્રોટેક્શન હેઠળ 100થી વધુ ગરીબોના આશિયાના જમીનદોસ્ત કરી દેવાયા છે. ત્યારે સુરતના નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં વિવાદ શમવાના બદલે દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. હવે શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ સુરત મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમનું માનવું છે કે, જે તંત્રના અધિકારીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે, તે જ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે તો સત્ય બહાર આવવાની શક્યતા નહિવત છે. તેથી સમગ્ર મામલાની તપાસ રાજ્ય સરકારના સચિવ કક્ષાના સ્વતંત્ર અધિકારીને સોંપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.

છ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી

વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં 29  મેના રોજ થયેલા ડિમોલિશન બાદ પાલિકા અને પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ડિમોલિશન દરમિયાન નિયમોનું પાલન થયું હતું કે નહીં, ખાનગી મિલકતોને ગેરકાયદે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું કે નહીં અને તંત્રે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો કે કેમ, તેવા મુદ્દાઓને લઈને ભારે વિરોધ નોંધાયો હતો. વધતા જનઆક્રોશ વચ્ચે પાલિકાએ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી, પરંતુ આ સમિતિની વિશ્વસનીયતા અંગે હવે ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ જ શંકા વ્યક્ત કરી છે.

'ફરિયાદ નોંધીને ફોજદારી કાર્યવાહી પણ થવી જોઈએ'

વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, આ તપાસ માત્ર એક ઔપચારિકતા બનીને ન રહી જવી જોઈએ. સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ થાય તે અત્યંત જરૂરી છે. જો તપાસ દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી અથવા અન્ય જવાબદાર વ્યક્તિની સંડોવણી સામે આવે, તો માત્ર વિભાગીય પગલાં પૂરતા નથી, પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધીને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવી જોઈએ. જાહેર જનતાનો તંત્ર પરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે દોષિતોને કાયદા મુજબ કડક સજા મળવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ભાજપના ધારાસભ્યએ સુરત મનપા સામે ઉઠાવ્યા સવાલ

હવે ભાજપના જ ધારાસભ્ય દ્વારા મનપાની તપાસ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવતા સમગ્ર પ્રકરણ વધુ રાજકીય રંગ પકડી રહ્યું છે. એક તરફ પાલિકાની તપાસ સમિતિની કામગીરી પર સૌની નજર મંડાયેલી છે, તો બીજી તરફ સચિવ કક્ષાની સ્વતંત્ર તપાસની માંગ ઉઠતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો: CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

કોંગ્રેસનું અલ્ટિમેટમ: ગરીબોને વૈકલ્પિક આવાસ આપો, જવાબદાર અધિકારીને તાકીદે સસ્પેન્ડ કરો

આશ્ચર્યની પરાકાષ્ઠા તો એ છે કે, આટલું મોટું 'ભૂતિયું ડિમોલિશન' થઈ ગયું છતાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ તંત્ર એવું નાટક કરી રહ્યા છે જાણે તેઓ સદંતર અજાણ હોય! ખરેખર તો મ્યુનિ.કોર્પોરેશન અને ખાખી બિલ્ડરો માટે જ કામ કરી રહ્યા છે તે સુરત શહેરમાં જગજાહેર છે. વગદારો અને મોટા મગરમચ્છોના દબાણો સામે ઘૂંટણ ટેકી દેતી ભાજપ સરકાર માત્ર ગરીબો પર જ બુલડોઝર ચલાવી જાણે મરદાઈ દેખાડી રહી છે તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, બિલ્ડરોને લાખો કરોડો રૂપિયાની જમીન ધરી દેવા માટે પોલીસ, કમિશનર, વહીવટી તંત્ર સહિતના મોટા માથાઓની સીધી સંડોવણી હોઈ શકે છે.