Surat Election Result 2026:સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. વર્ષ 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે.
2021 ની ચૂંટણીમાં 'આપ'એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે. અમરોલી, મોટા વરાછા, કઠોર, સરથાણા, સીમાડા, લસકાણા, કાપોદ્રા, ફૂલપાડા, અશ્વિનીકુમાર, કતારગામ, ડભોલી, સિંગણપોર અને પુણા (પશ્ચિમ) જેવા વિસ્તારોમાં મતદારોએ આમ આદમી પાર્ટીની આખી પેનલને હારનો સ્વાદ ચખાડ્યો છે.
પરાજયના મુખ્ય કારણો:
વિશ્વાસઘાત: ચૂંટણી જીતીને 12 કોર્પોરેટરોએ તેમનું રાજકીય ગોત્ર બદલી નાખ્યું હતું. ભાજપ સાથેની કથિત સોદાબાજી અને મતદારો સાથે થયેલા વિશ્વાસઘાતની મતદારોએ ગંભીર નોંધ લીધી હતી.
જૂથવાદ: કોંગ્રેસમાં ફાટી નીકળેલા જૂથવાદનો પણ ભાજપને ફાયદો મળ્યો છે.
સ્થિરતા: મતદારોએ હવે કામગીરીની સાથોસાથ સ્થિરતાને વધુ મહત્ત્વ આપ્યું છે.
AAP માત્ર સોશિયલ મીડિયા પર વાઘ, લોકોએ તાળીઓ પાડી પણ મત ન આપ્યા
સુરત પાલિકાની ચૂંટણી પહેલા પ્રચારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જે રીતે આક્રમક પ્રચાર કરવામાં આવ્યો હતો અને જંગી સભાઓ યોજાઈ હતી, તે જોઈને લાગતું હતું કે પરિણામો કંઈક અલગ આવશે. પરંતુ આ ભીડ મતમાં પરિવર્તિત થઈ શકી નથી. રાજકીય વિશ્લેષકોના મતે લોકોએ મન બનાવી લીધું હતું પણ તે કોઈને કહેતા નહોતા. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વરાછા, કતારગામ અને કપોદ્રા જેવા વિસ્તારોમાં 'આપ' ને મોટો ઝાટકો લાગ્યો છે. ગઈ ચૂંટણીમાં આપના 12 કોર્પોરેટરો ભાજપમાં ભળી ગયા હતા, તેની અસર પણ આ વખતે સ્પષ્ટ જોવા મળી છે. મતદારોમાં આ પક્ષપલટાને લઈને છૂપો રોષ હતો. સોશિયલ મીડિયામાં 'આપ' નો દબદબો દેખાતો હતો પરંતુ વાસ્તવિક જમીની હકીકત અલગ જ સાબિત થઈ છે. બીજી તરફ, ભાજપે આ વિસ્તારોમાં 'સરકાર અમારી છે, વિપક્ષને મત આપીને શું કરશો' તેવી રણનીતિ અપનાવી હતી જે કારગત નીવડી છે.
મતદારોએ મન બનાવી ભાજપને ક્લીન સ્વીપ કરાવી
સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં રહેતા મતદારોએ આ વખતે જાણે મન બનાવી લીધું હોય તેમ એકપણ ભૂલ કર્યા વગર ભાજપને ક્લીન સ્વીપ કરાવી છે. આ હાર માત્ર આંકડાકીય નથી, પરંતુ આપની રણનીતિ પર મોટો સવાલ પણ ઊભો કરી ચૂકી છે. માત્ર એકમાત્ર વોર્ડ નં-17 પુણા (પૂર્વ)માં જ આપની પેનલ ચૂંટણી જીતી છે.
2015 ની ચૂંટણીમાં પૂર્વ ડે. મેયર સહિતના ભાજપના નેતાઓ હારી ગયા હતા. જેમાં રંજન વેકરીયા, બાબુ જીરાવાલા, અરવિંદ ગોયાણી, મુકેશ કોટીયા, કોમલ પટેલ અને દર્શિની કોઠીયા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. જે તે સમયે ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ બચી શકી ન હતી, પરંતુ દસ વર્ષ બાદ આ વિસ્તારોમાં ભાજપની ફરી એન્ટ્રી થઈ છે.


