Get The App

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત 1 - image

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાનના શૈક્ષણિક પ્રવાસમાં અંધેર વહીવટના કારણે વિવાદ ઉભો થયો છે. સમિતિના 800 જેટલા વિદ્યાર્થીઓ ધરમપુર-બરૂમાળ-દાંડીના પ્રવાસમાં ગેરવહીવટનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે. આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા કવાયત થઈ છે. તો બીજી તરફ સુરતના શિક્ષકોના યુનિયને પ્રવાસનું ગંભીરતાથી આયોજન કરવા માટે રજૂઆત કરી છે. 

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત 2 - image

સમગ્ર શિક્ષા અભિયાન અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં ભારે અંધાધૂંધી સર્જાતા શિક્ષણ સમિતિની ઈમેજને ભારે નુકસાન થયું છે. વિદ્યાર્થીઓને સાંજે ચાર વાગ્યે જમવાનું અપાતા અફરા તફરીનો માહોલ હતો અને ખાવા માટે વિદ્યાર્થીઓએ રીતસરના ફાંફા મારવા પડ્યા હતા. આ મુદ્દે સુરત જ નહીં પરંતુ રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે તેના કારણે શિક્ષણ સમિતિએ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા માટે કવાયત શરૂ કરી છે. 

દરમિયાન સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સર્વ શિક્ષા અભિયાનના એડીશનલ પ્રોજેક્ટ કો.ઓર્ડિનરને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, શાળાના બાળકોને એક દિવસ ધરમપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત લઈ જવામાં આવેલા હતા. આ પ્રવાસમાં બાળકોને શિક્ષકોને પ્રવાસના પ્લાનિંગ મુજબ સવારનો નાસ્તો અને બપોરનું ભોજન સમયસર આપવામાં આવ્યો ન હતો. ઉપરાંત બાળકોને પ્રવાસમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભવિષ્યમાં કોઈ પ્રકારના આયોજન થાય ત્યારે આ અંગે ખૂબ ગંભીરતાથી આયોજન કરવું અને શક્ય હોય તો આ બાળકોને ફરીવાર આ તમામ સ્થળોએ પૂરતી સુવિધા સાથે આયોજન થાય તેવું પ્લાનિંગ કરવા જણાવ્યું છે.