Surat News: સુરત શહેર ભાજપના સંગઠન માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી, ત્યારે આજે(13 ફેબ્રુઆરી) સાંજે ટીમ જાહેર કરવામાં આવી છે. સુરત ભાજપના સંગઠન માટે બિન અનુભવી કહેવાતા પ્રમુખની ટીમમાં પણ કેટલાક બિન અનુભવીની જાહેરાતથી અનેક ચોંકી ગયા છે. સુરત ભાજપ પ્રમુખ પોતાની નજીકના ગણાતાને મહામંત્રી બનાવી શક્યા નથી અને અન્ય ગ્રુપના મહામંત્રી બનતા હવે એક હથ્થુ શાસનનો અંત આવશે તેવું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત એક મહામંત્રી જાહેર કરાયા છે તે પંદર દિવસ પહેલા કારોબારીમાં હતા અને તેને જ મહામંત્રી બનાવાતા અનેક અટકળો થઈ રહી છે.
સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર
સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પરેશ પટેલની 10 મહિના પહેલા નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશના સંગઠનના સમીકરણ બદલાયા બાદ અનેક શહેરના સંગઠન ટીમ જાહેર થઈ ગઈ હતી, પણ સુરતની ટીમ જાહેર ન થતાં અનેક અટકળો કરવામાં આવતી હતી. આજે પ્રદેશ સંગઠને સુરતની ટીમ જાહેર કરી છે, જેમાં પ્રમુખ પરેશ પટેલની પસંદગીના મહામંત્રીનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
બિન અનુભવી હોદ્દેદારની વરણી થતાં અનેક અટકળો
ભાજપની સ્ટ્રેટજી પ્રમાણે ત્રણ મહામંત્રી માટે એક સુરતી, એક સૌરાષ્ટ્રીયન અને એક પરપ્રાંતીયને ફરી મહત્ત્વ અપાયું છે. મુળ સુરતી ગણાતા અને પૂર્વ મંત્રી એવા રણજીત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાની મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે. જ્યારે સૌરાષ્ટ્રીયન તરીકે કરશન ગોંડલીયાની નિમણુંક થઈ છે. ગોંડલીયાને 15 દિવસ પહેલાં જ કોરાબોરીમાં સ્થાન અપાયું હતું અને ગણતરીના દિવસોમાં મહામંત્રી બનાવાતા અનેક અટકળો થઈ છે.
આ પહેલા ગોંડલીયા યુવા ભાજપમાં હતા ત્યારે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા અને ત્યાર પછી સંગઠન મંત્રી પણ બનાવાયા હતા હવે તેઓ મહામંત્રી બન્યા છે. પર પ્રાંતિય તરીકે દુર્ગા પ્રસાદ પાંડે ની નિમણુંક કરવામા આવી છે તેનાથી અનેક નેતાઓ પણ અજાણ છે.
પ્રમુખ પોતાના નજીકનાને જ મહામંત્રી બનાવી ન શક્યા!
આ નિમણુંક પહેલાં પરેશ પટેલની નજીક છે, તેવા ધર્મેશ ભાલાળા, દિનેશ જોધાણી, ભાવિન ટોપીવાલા, અમિત રાજપૂત અને દિનેશ રાજપુરોહિત હોટ ફેરવિટ હતા. પરંતુ પ્રદેશ હાઇકમાન્ડે બે વખત નવી યાદી રજૂ કરવાની સૂચના આપ્યા બાદ અંતે પોતાની પસંદગી મુજબ નામોને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે, શહેર સંગઠનની રચનામાં પ્રદેશ સ્તરની સીધી દખલ રહી છે.
આ પણ વાંચો: AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ
પહેલા સુરતમાં એક માત્ર પાટીલ જુથનું પ્રભુત્વ હતું, જેના કારણે સંગઠનનો અનુભવ ન હોવા છતાં પરેશ પટેલને પ્રમુખ બનાવ્યા હતા અને તેઓ કોર્પોરેટ કંપનીની જેમ વહીવટ ચલાવતા હોવાથી વિવાદ થયો હતો. ત્યારબાદ હાલ સંગઠનની જાહેરાત થઈ છે, તેમાં એકમાત્ર શૈલેષ જરીવાલાને ફરી ખજાનચી તરીકે રીપીટ કર્યા છે. હાઈકમાન્ડ સુરતના મહામંત્રી સહિતના હોદ્દા પર પોતાની પસંદગી મૂકી છે, જેના કારણે પ્રમુખની સત્તા મર્યાદિત રહેશે. જોકે, આગામી પાલિકાની ચૂંટણીમાં આ સંગઠન કેવું કામ કરે છે તે અંગે અત્યારથી જ અનેક અટકળો થઈ રહી છે.




