Ahmedabad News : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તબીયત સારી ન જણાતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા યુએન મહેતા હોસ્પિટલે ગયા હતા અને ત્યાં રુટીન ચેકઅપ કરાવ્યું. આ દરમિયાન હૃદયમાં તેમને બ્લોકેજ જણાવતા સ્ટેન્ટ નાખવાની ફરજ પડી હતી.
પ્રદ્યુમન વાજા વિશે હોસ્પિટલે શું કહ્યું?
યુ એન મહેતા હોસ્પિટલ માંથી મળતા લેટેસ્ટ સમાચાર મુજબ માન્ય મંત્રી પ્રદ્યુમન વાઝાને કોઇ હાર્ટએટેક આવેલો નથી. મંત્રીએ પોતે એક ડોક્ટર હોવાથી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવાથી તેઓના સમયપત્રક મુજબ રૂટિન ચેકઅપ માટે ડોક્ટરની પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને જ હોસ્પિટલમાં ગયેલા હતા. આ દરમિયાન હદયમાં ડૉક્ટરને માઇનોર બ્લોકેજ જણાઈ આવેલ હતું. આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે ડોક્ટર એન્જિયોગ્રાફી દરમિયાન જ સ્ટેન્ટ નખાવા માટેની સલાહ આપતા હોય છે. આ સલાહ મુજબ મંત્રી વાજાને યોગ્ય લાગતા તુરંત નિર્ણય લઈને ડોક્ટરે એક નાનકડું સ્ટેન્ટ નખાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એવા અહેવાલ આવ્યા હતા પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા અસારવાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રદ્યુમન વાજાની એન્જિયોગ્રાફી કરતાં જાણવા મળ્યું હતું કે, તેમને એક નળીમાં બ્લોકેજ હતું. જેને લઈને એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે(13 ફેબ્રુઆરી) સાંજે AMC હેઠળ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક પ્રદ્યુમન વાજા દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


