Get The App

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે 'વંદે ભારત' ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી રહેશે

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે 'વંદે ભારત' ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી રહેશે 1 - image


Vande Bharat train will stop at Shamlaji station: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ (અસારવા) અને ઉદયપુર વચ્ચે દોડતી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજસ્થાન અને ગુજરાતના હજારો શ્રદ્ધાળુઓ માટે ભગવાન શામળિયાના દર્શન કરવા જવાનું વધુ સરળ અને ઝડપી બનશે.

આ સુવિધા પાછળ સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના સાંસદ શોભનાબહેન બારૈયાના પ્રયાસો મુખ્ય રહ્યા છે. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરી હતી કે યાત્રાધામ શામળાજીનું ધાર્મિક મહત્ત્વ જોતાં અહીં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હોવું અનિવાર્ય છે. સાંસદની આ રજૂઆતને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લામાં પરિવહનની નવી અને મોટી સુવિધા ઊભી થઈ છે.

અત્યાર સુધી અમદાવાદથી રાજસ્થાન તરફ જતાં મુસાફરો માટે આ રૂટ પર મર્યાદિત વિકલ્પો હતા, પરંતુ હવે શામળાજી સ્ટેશન પર સ્ટોપેજ મળતાં સ્થાનિક વેપાર અને પ્રવાસનને પણ વેગ મળશે. વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનનો લાભ મળવાથી ભક્તો સમયની બચત સાથે આરામદાયક મુસાફરી કરી શકશે. રેલવેના આ નિર્ણયને અરવલ્લી જિલ્લાના લોકો અને શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવ્યો છે.