૧૮મીથી
ત્રણ દિવસ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
25મીએ વિભાગીય કચેરીએ ધરણાં અને કલેક્ટરને આવેદન આપવા તખ્તો ઘડાયો
ભાવનગર -
જીએસઆરટીસીનું ખાનગીકરણ અટકાવવા અને કર્મચારીઓના વર્ષો જૂના
પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા નિર્ણય લેવાયો છે.
એસ.ટી.
નિગમમાં ખાનગી એજન્સી મારફત ભરતી કરવા નિર્ણય લઈ ડ્રાઈવર-કંડક્ટર કક્ષામાં બે-બે
હજાર કર્મચારીની ભરતી કરવા થતાં હિન પ્રયાસ સામે ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ અને
કર્મચારીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત નિગમમાં એક હજાર વાહનો ડ્રાઈવર સાથે
ભાડે લેવા, મોંઘાવારી ભથ્થું, ૭માં પગાર પંચ મુજબ નિગમના
કર્મીઓને ટીએ, ડીએ, ઓટી ચૂકવી આપવા,
ફિક્સ પગારીને કાયમીના તમામ લાભો આપવા સહિત ૨૭ પડતર પ્રશ્નોનું
નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. જેના વિરોધમાં બીએમએસએ નિગમના ઉપાધ્યક્ષ અને
વહીવટી સંચાલકને લેખિતમાં રજૂઆત કરી એસ.ટી.નું ખાનગીકરણ અટકાવવા અને પ્રશ્નોનો હલ
લાવવા માંગણી કરી છે. જો માંગણીઓનો સત્વરે ન્યાયિક નિર્ણય નહીં લેવામાં આવે તો
આગામી તા.૧૮-૬થી તા.૨૦-૬ સુધી તમામ કર્મચારી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.
તા.૨૨-૬ અને તા.૨૩-૬ના રોજ રિશેષ સમયમાં સૂત્રોચ્ચાર, ઘંટનાદ,
રામધૂન કરી વિરોધ નોંધાવશે. ૨૪મીના રોજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને નિગમના
વડાને ટેક્સ મેસેજ, સોશિયલ મીડિયા મારફત પડતર માંગણીઓ રજૂ
કરાશે. ૨૫મીએ નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે ૧૧થી ૩ કલાક સુધી ધરણાં,
બપોરે ૩-૧૫ કલાકે વિભાગીય નિયામક અને સાંજે ૪ કલાકે જિલ્લા
કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે. આમ છતાં પડતર પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો આગામી
સમયમાં આંદોલન વધુ ઉગ્ર કરી આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા ચીમકી ઉચ્ચારાઈ છે.


