Gujarat

જિલ્લામાં અત્યાર સુધી 364 મુસાફરોનું સ્કેનિંગ કરાયું, 275 ઓબ્ઝર્વેશન હેઠળ

By GS Team
24 Mar 20203 mins read
This article was originally published on 24 Mar 2020
જિલ્લામાં અત્યાર સુધી 364 મુસાફરોનું સ્કેનિંગ કરાયું, 275 ઓબ્ઝર્વેશન હેઠળ

, તા. 23 માર્ચ 2020, સોમવાર

પાટણ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. તંત્ર દ્વારા અવરજવર કરતા મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ જણાય તેવા દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ ખસેડવામાં આવે છે. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરી ૧૬૦૦થી વધુ હેલ્થ વર્કરોની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં રવિવારના જનતા કરફ્યુના સમર્થન બાદ બીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રએ ૧૪૪ની કલમ જાહેર કરી હોવા છતાં ઠેર ઠેર લોકોના ટોળા ઉમટતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસે કોરોના વાયરસની સમજ આપી માઈક દ્વારા અપીલ કરાઈ હતી. જેમાં પોલીસે બજારો બંધ કરાવ્યા હતા. તેમજ રિક્ષા, વાહનો લઈ બજારમાં નીકળનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.પાટણ  જિલ્લામાં અત્યાર સુધી ૩૬૪ મુસાફરોનું સ્કિનિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૨૭૫ મુસાફરો ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે. અત્યાર સુધી ૭ શંકાસ્પદ દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ છે અને પાંચ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. જ્યારે આઈસોલેશન હેઠળના દર્દીઓને રાધનપુર ખસેડવામાં આવ્યા છે.

અઘાર ગામે ૧૪૪ કલમનો ભંગ

પાટણના અઘાર ગામે કુંવારીકા માતાના મેળાની કોરોના વાયરસના લીધે પરમીશન આપેલ ન હોવા છતાં ગામમાં કુંવારીકા માતાનો રથ નીકળ્યો હતો. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં વગર માસ્કે જોડાઈ કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણ કલેક્ટર જવાબદાર સામે કાર્યવાહી કરી શકે છે.

વિદેશથી આવેલા ૧૫ લોકોને ઘરોમાં કોરોન્ટાઈન કરાયા

સમગ્ર વિશ્વમા ંકોરોના દ્વારા હાહાકાર મચી જવા પામ્યો છે અને જ્યારે કોરોના દર્દીઓ ધીરે ધીરે ભારતમાં પણ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વિદેશથી આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જોર્જીયાથી મેડિકલમાં ભણતા ૫ તેમજ ઈન્ડોનેશિયામાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે દુબઈ અને થાઈલેન્ડ તેમજ સાઉદી અરેબીયાથી આવેલા જેમાં રાધનપુર શહેરના ૧૧ અને તાલુકાના ગોતરકા ગામે આવેલા આમ કુલ ૧૪ જ્યારે સાંતલપુર તાલુકાના ઝાઝમ ખાતે વિદેશથી આવેલ એક આમ રાધનપુર, સાંતલપુર તાલુકાના ૧૫ લોકો તાજેતરમાં વિદેશથી આવેલા છે. રાધનપુર-સાંતલપુર પંથકમાં અલગ અલગ દેશમાંથી આવેલા ૧૫ લોકોની જાણકારી આરોગ્ય વિભાગને મળતા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા તમામ લોકોને ૧૪ દિવસ માટે તેમના ઘરોમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ લોકોના ત્યાં રોજે રોજ અલગ અલગ આરોગ્ય કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું તાલુકાના આરોગ્ય અધિકારી ડો. કે.કે. પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સિધ્ધપુર શહેરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ રાખવા તાકીદ

આરોગ્યની ટીમ દ્વારા આજરોજ સિધ્ધપુર હાઇવે ખલી ચાર રસ્તા થી ઉંઝા વચ્ચે સિધ્ધપુરની ચેક પોસ્ટ પાસે આરોગ્યની અલગ અલગ ટીમોએ બહારથી આવતી દરેક ગાડીઓમાં ચુસ્તપણે સ્ક્રીનીંગ કરી તપાસ કરવામાં આવી હતી. જેમાં દરેક ગાડી કયાંથી આવી છે અને જો સિધ્ધપુર તાલુકામાં પ્રવેશવાની છે તો તેની પુરી જાણકારી સાથે કોઇને તાવ, શરદી કે કોરોના રોગના લક્ષણો ન હોય તેમજ આ ચેપી રોગ બીજાને ન લાગે તે માટે જરૃરી પગલાં ભર્યા હતા. જ્યારે સિધ્ધપુરના પ્રાંત અધિકારી, મામલતદાર, પી.આઇ.નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સિધ્ધપુરના શહેર વિસ્તારની આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. તેમજ મુક્તિધામ અને બજારમાં મુલાકાત લઇ લોકોને સંક્રમણ ફેલાવાથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી.

સિધ્ધપુરના મુક્તિધામમાં વધુ ડાઘુઓને ન પ્રવેશવા તાકીદ

શ્રી સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ  સિધ્ધપુર ખાતે હાલમાં સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે અને આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિના સંસર્ગમાં આવવાથી ફેલાતો રોગ હોઈ તેને ફેલાતો અટકાવવા માટે સાવચેતીના પગલા રૃપે પાટણ જિલ્લામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૪૪ લાગુ હોઈ જ્યારે મૃતક વ્યક્તિને અગ્નિસંસ્કાર કરવા માટે મુક્તિધામમાં લાવવામાં આવે ત્યારે તેની સાથે સરકારી નિયમોને આધીન મર્યાદિત વ્યક્તિઓએ જ આવવું. મુક્તિધામમાં કેન્ટીન અને ભોજનાલયની વ્યવસ્થા હાલ પુરતી બંધ કરવામાં આવેલ છે તેમજ મુક્તિધામમાં આવેલ વ્યક્તિઓએ શહેરના અન્ય વિસ્તારોમાં જવાનું ટાળવા તાકીદ કરવામાં આવી છે.