જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રવિન્દ્ર સિંહ કાથડજી કંચવા નામના ખેડૂતે પોતાના મકાનના ફળિયામાં આવેલા રાંદલ માતાજી તેમજ કુળદેવીના મંદિરમાંથી કોઈ તસકરો રૂપિયા 12,000ની રોકડ રકમ સાથેની દાન પેટી ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદીના મકાનના ફળિયામાં કંચવા પરિવારના કુળદેવી નું ધાર્મિક સ્થળ આવેલું છે, જ્યાં કંચવા પરિવાર ના સભ્યો વગેરે દર્શનાર્થે આવતા હોય છે. જ્યાં સ્ટીલના ડબ્બામાં બે દાન પેટી રાખેલી છે.
તાજેતરમાં ખેડૂત દંપત્તિ પોતાના મકાનને બંધ કરીને જામનગર તાલુકાના ચેલા ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનની ડેલીમાં પ્રવેશ કરી લઇ અંદર રાખેલી બે પતરા ના ડબ્બા સાથેની દાનપેટીની ચોરી કરી લઈ ગયા હોવાથી મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


