Gujarat

સુરતના એક ગ્રૂપ દ્વારા ગરીબ અને પછાત વર્ગ માટે બનાવાય છે સ્માઈલ કીટ

By GS Team
29 Oct 20212 mins read
This article was originally published on 29 Oct 2021
સુરતના એક ગ્રૂપ દ્વારા ગરીબ અને પછાત વર્ગ માટે બનાવાય છે સ્માઈલ કીટ

સુરત,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર

દિવાળીનો પર્વએ રોશનીનો પર્વ છે. દીવડાઓથી ઘરમાં તો રોશની થાય જ છે.પરંતુ જો અન્યના જીવનમાં રહેલા અંધકારને પણ દૂર કરવામાં આવે તો તેનાથી વિશેષ કઈ જ નથી.કોરોનાના સમય પછી ઘણા લોકોના નોકરી ધંધા પર અસર પડી હતી. ઘણા લોકોને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. તેવામાં નાના અને ગરીબ વર્ગના પરિવારોને સૌથી મોટો ફટકો આ કોરોના સમયમાં પડ્યો છે. ઘણા ગરીબ અને પછાત પરિવારો એવા છે જે તેમાંથી બહાર આવી શક્યા નથી. તેવામાં આવા પરિવારો કે જેઓ દિવાળી ઉજવવા સક્ષમ નથી તેવા પરિવારો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સુરતનું એક ગ્રુપ "સ્માઈલ કીટ"વહેંચી રહ્યું છે.

સુરતનું એક ગ્રુપ ગરીબ અને પછાત વર્ગના લોકો માટે દિવાળીમાં સ્માઈલ કીટ વહેંચી રહ્યું છે. દિવાળીના સમયમાં લોકો જાતજાતના ફરસાણ બનાવે છે, મીઠાઈઓ આરોગે છે, તેવામાં સુરતના સોશિયલ રમી ગ્રુપ જે છેલ્લા ઘણા વર્ષથી વિવિધ સાત જેટલા પ્રોજેક્ટ પર સેવાકાર્ય કરે છે, તેમનો એક પ્રોજેક્ટ છે “પ્રોજેક્ટ અન્ન સાથી.” આ પ્રોજેક્ટ અંતર્ગત તેમના દ્વારા છેલ્લા છ વર્ષથી દિવાળી મહાપર્વમાં જે લોકો દિવાળી ઉજવવા સક્ષમ નથી તેવા જરૂરિયાતમંદ અને નિરાધાર પરિવારના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસ માટે સ્માઈલ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રુપના સભ્યોને આ કાર્ય કરવામાં અનહદ આનંદ આવે છે. છેલ્લા છ વર્ષથી તેઓ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે દિવાળીનો સાચો અર્થ તેમના માટે ત્યારે જ સાર્થક થાય છે જયારે તેમના પ્રયત્નોથી કોઈની દિવાળી સુધરે અને પરિવારમાં ખુશીઓ આવે.આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેઓ અન્ય લોકો પાસેથી પસ્તી પેપર ઉઘરાવે છે અને તેમાંથી જે પણ કંઈ રકમ પ્રાપ્ત થાય છે, તેનાથી તેઓ સ્માઈલ કીટ માટે વસ્તુઓ ખરીદે છે. આ સ્માઈલ કીટમાં નાનખટાઈ, મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા અને ભાખરવડી જેવી વસ્તુઓ રાખવામાં આવે છે. આ પેકીંગ પ્રક્રિયા પાંચ દિવસ સુધી ચાલે છે.ગ્રુપના બધા જ મેમ્બરો એક સ્થળે ભેગા થઇ આ કીટ પેકીંગ કરવાનું કાર્ય કરે છે અથવા તો એમ કહીએ કે લોકોના ચહેરા પર એક નાનું સ્મિત લાવવા તેઓ આ સ્માઈલ કીટ ભરે છે. પાંચ દિવસ બાદ આવી સ્માઈલ કીટ તૈયાર થઇ જાય તે પછી તેને અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવે છે.