- નિલમબાગ પોલીસ મથકમાં બેંક એજન્ટ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો
- ખોટા બીલો બતાવી બેંકમાંથી પીએમઈજીપી યોજના અંતર્ગત લોન મેળવી લોનના પૈસા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નિલમબાદ શાખાના એસએમઈસીસી વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનિકાંત ઝાલાએ નિલમબાગ પોલીસ મથકમાં ભૂમીબેન નિખિલભાઈ પંડયા, કીરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુશભાઈ શાહ, જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણી, ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાયની લોન માટે ઉક્ત લોકોએ અરજી કરી ગત તા.૧૭-૨થી ૧૧-૧૦ સુધીમાં ઈરાદાપૂર્વક સુનિયોજીત કાવતરું રચી બેંકમાં લોન લેવા માટે ખોટા બીલો એજન્ટ ભરતભાઈ પાસેથી મેળવી અન્ય એજન્ટ સુનિલભાઈ દ્વારા બેંકમાં રજૂ કરાવી ખોટા બીલોનો ઉપયોગ કરી બેંકમાંથી ટર્મ લોન તથા સીસી લોન મેળવી મંજુર કરાવી લોનની રકમમાંથી લઘુ ઉદ્યોગ શરૂ કરવાની મશીનરી કે સ્ટોકની ખરીદી નહી કરી રકમ અંગત ઉપયોગ માટે કરી બેંક સાથે રૂ.૧,૩૫,૦૦,૫૬૯ની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેંકના અધિકારી-કર્મચારીઓની સંડોવણી અંગે પણ તપાસ થશે
લઘુઉદ્યોગ શરૂ કરવાના નામે સરકારી યોજના અંતર્ગત લોન લઈ તેના નાણાં અંગત ઉપયોગ માટે વાપરી જઈ બેંક સાથે છેતરપિંડી આચરનારા આરોપીઓને ઝડપી લઈ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે બેંકના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે તેમ નિલમબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું.


