Get The App

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ 1 - image



Sarangpur Temple Ancient Well: વિશ્વ વિખ્યાત યાત્રાધામ સાળંગપુર અત્યારે હનુમાન જન્મોત્સવના રંગે રંગાયેલું છે. ભવ્ય લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અને ફાયર શોની વચ્ચે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે દાદાની મૂર્તિની એકદમ સામે આવેલો વર્ષો જૂનો પૌરાણિક કૂવો. ગુજરાત સમાચાર ડિજિટલ આજે આપને આ કૂવાના ઇતિહાસ અને તેના ચમત્કારિક જળના મહાત્મ્ય વિશે જણાવશે.

જાણો કૂવાનો વર્ષો જૂનો ઇતિહાસ

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના જણાવ્યાનુસાર, કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ જે કૂવા પાસે સ્થાપિત છે, તે કૂવો વર્ષો જૂનો અને પવિત્ર છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સાળંગપુર પધારતા ત્યારે તેઓ આ જ કૂવા પર સ્નાન કરતા હતા. આથી આ કૂવો હરિભક્તો માટે ભગવાનની પ્રસાદી સમાન મનાય છે.

વર્ષ 1905માં ગોપાળાનંદ સ્વામીએ આ કૂવા પાસે આવેલા એક ઊંચા ટેકરા પર હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી, જેથી દર્શનાર્થે આવતા દરેક શ્રદ્ધાળુ દાદાના આશીર્વાદ લઈ શકે.

આ પણ વાંચો: સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા

શા માટે ખાસ છે આ કૂવાનું પાણી?

આ પૌરાણિક કૂવાનું મહત્ત્વ આજે પણ એટલું જ અકબંધ છે. તેની પાછળ કેટલીક વિશેષ ધાર્મિક માન્યતાઓ અને વિધિઓ જોડાયેલી છે. દર શનિવારે આ પવિત્ર કૂવામાંથી જળ કાઢવામાં આવે છે. આ જળ વડે હનુમાનજી દાદાની પૂજા થાય છે અને ગોપાળાનંદ સ્વામીની લાકડીનો જળાભિષેક કરવામાં આવે છે. પૂજા બાદ આ પવિત્ર પ્રસાદીનું જળ ભક્તોને નાની બોટલોમાં ભરીને આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓની એવી અતૂટ માન્યતા છે કે આ પ્રસાદીના જળના છંટકાવ માત્રથી ભૂત-પ્રેતનો વળગાડ દૂર થાય છે અને ઘર કે ઑફિસ જેવા સ્થળો પવિત્ર બને છે.

હનુમાન જન્મોત્સવની ધૂમ

સાળંગપુર ધામમાં હનુમાન જયંતીના પર્વ નિમિત્તે બે દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં જાપાન જેવો અત્યાધુનિક ફાયર શો, શાર્પી લાઇટિંગ અને બલૂન એર ડ્રોપ શો દ્વારા દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું છે. લાખો ભક્તો આ પવિત્ર અવસરે દાદા અને આ પૌરાણિક કૂવાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.