Salangpur Hanuman Jayanti 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (બીજી એપ્રિલ) હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

સુવર્ણ વાઘા અને ભવ્ય શણગાર
હનુમાન જયંતીના પાવન પર્વ પર વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે 5:00 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ 7:00 કલાકે શણગાર આરતી યોજાઈ હતી. દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક 'નૂતન સુવર્ણ વાઘા' અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

1 લાખ બલૂન અને 151 કિલોની કેક કાપી
જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.

દિવસભરના મુખ્ય કાર્યક્રમો
વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ: સવારે 7:00 વાગ્યાથી 1000થી વધુ ભક્તોની હાજરીમાં સામૂહિક વૈદિક યજ્ઞનો પ્રારંભ.
અન્નકૂટ દર્શન: સવારે 11:00 કલાકે દાદાને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
મહા સંધ્યા આરતી: સાંજે 7:00 કલાકે નાસિક ઢોલ-તાસા અને ભવ્ય આતશબાજી સાથે સામૂહિક આરતીનું આયોજન.

ભક્તો માટે વિશેષ સુવિધાઓ
ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભોજનશાળા, ગેસ્ટ હાઉસ (લાઈટ હાઉસ અને કષ્ટભંજન ભવન) તેમજ પાર્કિંગની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકો અને પોલીસ કાફલો ખડેપગે છે.


