| Image: Banas Dairy |
Banas Dairy Controversy: એક તરફ બનાસ ડેરી દ્વારા પશુપાલકોને સધ્ધર બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ડેરીના અણધાર્યા અને તોતિંગ ભાવ વધારાને કારણે પશુપાલકો પાયમાલ થઈ રહ્યા છે. તાજેતરમાં બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોએ સામાન્ય પશુપાલકો અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો છે.
બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!
પ્રાપ્ત માહિતી અનુસાર, એક તરફ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે માત્ર 15 રૂપિયાનો નજીવો વધારો આપીને વાહ વાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સામે પશુપાલકોની મુખ્ય જરૂરિયાત એવી ચીજવસ્તુઓના ભાવમાં ધડખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં સાગરદાણ અગાઉ રૂ.1499માં મળતું હતું તે હવે એકાએક રૂ .200ના વધારા સાથે રૂ.1700 કરી દેવામાં આવ્યું છે. જ્યારે રૂ.9900માં મળતા ઘીના ડબ્બા ભાવમાં રૂ.450નો તોતિંગ વધારો કરીને રૂ.10,350 ભાવ કરી દેવામાં આવ્યા છે.
હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે પશુપાલકો પહેલાથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં સાગરદાણ અને ઘીના ભાવમાં કરવામાં આવેલો આ વધારો પશુપાલકો માટે ગાલ પર તમાચા સમાન છે. દૂધના ભાવમાં નજીવો વધારો અને બીજી તરફ જીવનજરૂરી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારો એ પશુપાલકોની કમર તોડી નાખનારો નિર્ણય છે.
આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
આ મામલે પશુપાલકોની માગ છે કે, બનાસ ડેરીના સત્તાધીશો આ વધારા અંગે પુન વિચારણા કરે અને પશુપાલકોના હિતમાં ભાવમાં રાહત આપે. જેથી પશુપાલન વ્યવસાય ટકી શકે, નહીંતર આવનાર સમયમાં પશુપાલકોને પશુપાલનનો ધંધો ટકાવી રાખવો ભારે મુશ્કેલ બની રહેશે.


