Get The App

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ 1 - image

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 'ઓરમાયું' વર્તન

મનપામાં ભળેલા ૫ ગામ પાયાની સુવિધા માટે તરસ્યા ઃ સડક યોજનાના કામમાં પણ અન્યાય ઃ અધિકારીઓના વલણથી રોષ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સ્વણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરીમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મહાનગરમાં નવા ભળેલા ગામો સાથે સ્પષ્ટ અન્યાય થતો જોવા મળી રહ્યો છે. કુલ રૃ.૧૮.૪૫ કરોડના ખર્ચે ૧૫ જેટલા નવા રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાંથી સિંહફાળો સુરેન્દ્રનગર શહેરના વોર્ડને ફાળવી વઢવાણના માથે માત્ર ટાંચી રકમ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાની રચના સમયે વઢવાણ સહિત માળોદ, ખમીસણા, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોનો સમાવેશ એ આશાએ કરાયો હતો કે ત્યાં વિકાસની ગંગા વહેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારો આજે પણ પીવાનું પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. નવા રસ્તાના કામોમાં પણ આ પાંચ ગામોમાંથી એક પણ ગામમાં નવા રોડની મંજૂરી અપાઈ નથી, જેના કારણે ગ્રામીણ જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકાના કુલ ૧૩ વોર્ડ પૈકી સુરેન્દ્રનગરના ૧૧ વોર્ડ માટે રૃ.૧૬.૯૫ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે, જ્યારે તેની સામે વઢવાણ અને ભળેલા ગ્રામીણ વિસ્તારો માટે માત્ર રૃ.૨.૫૦ કરોડના જ કામો મંજૂર કરાયા છે. અધિકારીઓ દ્વારા જાણીજોઈને વઢવાણના વિકાસને રૃંધવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. એક તરફ ગામડાઓ મહાનગરના ટેક્સ ભરે છે, તો બીજી તરફ સુવિધાના નામે તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. આ અસમાન ફાળવણી મહાનગરપાલિકાના વહીવટ પર સવાલો ઉભા કરે છે.

 

વોર્ડ વાઈઝ ફાળવણીની વિગત

વોર્ડ નંબર   કુલ રકમ (કરોડમાં)

૦૧            ૧.૭૫

૦૨            ૧.૨૨

૦૩            ૧.૮૫

૦૪            ૧.૩૫

૦૫            ૧.૩૦

૦૬            ૧.૬૬

૦૭            ૦.૯૦

૦૮            ૨.૦૦

૦૯            ૨.૦૦

૧૦            ૧.૫૦

૧૧            ૦.૪૨

૧૨            ૧.૦૦

૧૩            ૧.૫૦