Gandhinagar Accident: ગાંધીનગરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ચીલોડાથી સેક્ટર 30 સર્કલ જતા સાબરમતી નદીના બ્રિજ પરથી એક ઓટો રિક્ષા અકસ્માતે નદીમાં ખાબકી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કર્યું હતું. તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
રિક્ષા ચાલકનું મોત થયાના સમાચાર
ગાંધીનગર ટ્રાફિક પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ, બપોરે 1:00 વાગ્યે બનેલી ઘટનામાં રેલિંગ ના હોવાના કારણે રિક્ષા નદીમાં ખાબકી હતી, જેમાં ડ્રાઇવરનું મોત થયાના સમાચાર છે. રિક્ષા નદીમાં પડતા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, આ મામલે ચિલોડા પોલીસ તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, સેક્ટર-30 સર્કલ જતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી એક ઓટો રિક્ષા અકસ્માતે નદીના પાણીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેએ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ ના થાય અને અન્ય કોઈ અકસ્માતનો બનાવ ના બને તે માટે પોલીસ ટીમ દ્વારા તકેદારી કામગીરી કરવામાં આવી છે.


