Ahmedabad Crime News: નરોડા પોલીસે બ્યુટી પાર્લર ચલાવતા વેપારીઓ અને ગ્રાહકોને નિશાન બનાવી, ધાર્મિક વિધિના બહાને સોના-ચાંદીના દાગીના પડાવી લેતી બે મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે છેતરપિંડીનો મુદ્દામાલ ખરીદનાર વેપારી સહિત કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાઓ ધાર્મિક વિધિના નામે જાળ ફેલાવતી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલાઓ અત્યંત શાતિર રીતે છેતરપિંડી કરતી હતી. મહિલાઓ ગ્રાહક બનીને બ્યુટી પાર્લરમાં જતી હતી. સર્વિસ લેતી વખતે એક મહિલા રડવાનું નાટક કરી સામેવાળી વ્યક્તિની સહાનુભૂતિ મેળવતી. બીજી મહિલા દાવો કરતી કે તેની માતા પાસે એવી શક્તિ છે જે કોઈપણ 'દુર્ભાગ્ય' કે 'દુઃખ' દૂર કરી શકે છે. વિધિ કરવાના બહાને બંને પીડિતાને રોકડ અથવા દાગીના લાવવા સમજાવતી અને નજર ચૂકવીને તે લઈને ફરાર થઈ જતી હતી.
પોલીસ બંને મહિલાની ધરપકડ કરી
ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન નરોડા પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે શંકાસ્પદોને ધરપકડ કરાઈ છે. આરોપીની ઓળખ ગાંધીનગર જિલ્લાના દહેગામ રોડ પર આવેલા બહિયાલ ગામની રહેવાસી 40 વર્ષીય મીનાબેન ઉર્ફે ટીના અને ખેડા જિલ્લાના દાણાદરા ગામની રહેવાસી 40 વર્ષીય રૂપલબેન તરીકે થઈ છે.
પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, મુખ્ય આરોપી મીનાબેનનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે અને તેની સામે ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને ચોરીના ગુના નોંધાયેલા છે.
ઝવેરી પાસેથી 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત
મહિલાઓએ ચોરેલા દાગીના દસક્રોઈ વિસ્તારમાં જ્વેલર્સ ચલાવતા ધીરેન અરવિંદભાઈ સોનીને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઝવેરી પાસેથી 18.57 ગ્રામ સોનાની ત્રણ લગડીઓ કબજે કરી છે, જેની બજાર કિંમત આશરે 1.77 લાખ રૂપિયા થાય છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


