Gujarat

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું

By GS TEAM
17 Mar 20261 min read
લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું

વન વિભાગે સારવાર આપી મુક્ત કર્યું

કચ્છના રણ, નળસરોવરમાં જોવા મળતું પક્ષી સીમમાં દેખાતા આશ્ચર્ય ઃ ખેડૂતની સતર્કતાથી નવજીવન મળ્યું

લખતર - લખતર તાલુકાના ભાથરીયા ગામની સીમમાં એક વિશાળ નેપાળી ગરુડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિક ખેડૂતને આ પક્ષી નજરે પડતા તેમણે તુરંત વન વિભાગને જાણ કરી હતી. તપાસ કરતા માલૂમ પડયું હતું કે ગરુડને પાંખના ભાગે ઈજા થઈ હતી, જેના કારણે તે ઉડી શકતું નહોતું.

લખતર આર.એફ.ઓ.ના દેખરેખ હેઠળ વન રક્ષકોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગરુડને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષીની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. ગરુડ સંપૂર્ણ સ્વસ્થ જણાતા તેને ફરી ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નેપાળી ગરુડ કચ્છના નાના રણ અને નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે, ત્યારે ભાથરીયાની સીમમાં તેનું આગમન પક્ષીપ્રેમીઓમાં કુતૂહલનો વિષય બન્યું હતું. વન વિભાગ અને જાગૃત ખેડૂતની સમયસૂચકતાને કારણે આ દુર્લભ પક્ષીનો જીવ બચી શક્યો છે.