Get The App

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા 1 - image

મોક્ષરાજસિંહ જાડેજાને AIR 135, નિમય પુરોહિતને AIR 141 ક્રિકેટ અને ફૂટબોલ સહિતની રમતોમાં વિશેષ રૂચિ ધરાવતા બન્ને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઈચ્છા

રાજકોટ, : દેશની સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટેની જેઈઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું હતું. જેમાં રાજકોટનાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મોક્ષરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ઓલ ઈન્ડિયામાં 135મો રેન્ક મેળવી સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.  એ જ રીતે રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે JEE એડવાન્સમાં ઓલ ઈન્ડિયામાં 141મો રેન્ક મેળવી શહેરનું ગૌરવ વધાર્યું હતું.  આ બન્ને વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર એન્જિનિયિરિંગ ક્ષેત્રે કાર્રકિર્દી  ઘડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રનું હબ બની રહ્યું છે.  સૌરાષ્ટ્રનાં જૂદા-જૂદા જિલ્લામાંથી  મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે રાજકોટમાં ભણવા માટે આવે છે.  જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધા બાદ ધો. 11 અને 12માં અભ્યાસ અર્થે રાજકોટ આવી અહીની મોદી સ્કૂલમાં ભણીને JEE એડવાન્સની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવનાર  મોક્ષરાજસિંહ જાડેજાએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.  દિવસ દરમિયાન 10 થી 12 કલાકની મહેનત તેમજ સોશ્યલ મીડીયાથી દૂર રહેવાની હિમાયત સાથે તેઓએ જણાવ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણ મેળવીને ઓલ ઈન્ડિયા રેન્ક મેળવી શકાય છે. ક્રિકેટ, ચેસ, ફૂટબોલ અને ઈન્ડોર ગેમ્સ ઉપરાંત ડ્રોઈંગનો શોખ ધરાવતા આ વિદ્યાર્થીએ આજના પરિણામમાં કેમિસ્ટ્રી વિષયમાં 120માંથી 103 માર્કસ મેળવ્યા હતા. 

ધો. 10માં 99.99 PR સાથે 98.67 ટકા મેળવ્યા બાદ તેઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારર્કિદી ઘડવાની ઈચ્છા સાથે ધો 11-12નો અભ્યાસ આયોજનપૂર્વક શરૂ કર્યો હતો. કોઈપણ પ્રકારના બોજ વિના તૈયારી કરવાથી ધાર્યું પરિણામ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું.  ઈડબલ્યુએસ કેટેગરીમાં ઓલ ઈન્ડિયામાં 10મો રેન્ક મેળવી શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ શાળાના વિદ્યાર્થી આયુષ અજુડિયાએ ઓલ ઈન્ડિયા 451  જય સરધારાએ 604, અને ભવ્ય રૈયાણીએ 638મો રેન્ક  મેળવ્યો હતો.  રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે  આજે જેઈઈની એડવાન્સની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 141મો રેન્ક મેળવ્યો હતો. અગાઉ એઈમ્સની પરીક્ષામાં તેઓ ઓલ ઈન્ડિયામાં 16મા ક્રમે ઉતીર્ણ થયા હતા. 

તબીબ દંપતિના સંતાન નિમયની દરરોજ 7 થી 8 કલાકની આયોજનપૂર્વકની મહેનત ફળી હતી. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી રમતોમાં વિશેષ રસ હોવાનું જણાવી તેઓએ મદ્રાસ આઈઆઈટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે  કારર્કિદી ઘડવાની ઈચ્છા વ્યકત કરી હતી. રાજકોટના વિદ્યાર્થી વ્યોમ જોશીએ ઓલ ઈન્ડિયામાં 290મો અને હર્ષિલ દેસાઈએ ઓલ ઈન્ડિયામાં 449મો રેન્ક મેળવી શહેરનું ગૌરવ વધાર્યું હતું.