Get The App

રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત 1 - image

Rajkot News: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રવિવારે (17મી મે) દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ વિસ્તારમાં બે મિત્રોના મોત થતાં કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ ગેરકાયદે વેચાતા દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

દારૂ પીધાના થોડા જ સમયમાં તબિયત લથડી

મળતી વિગતો અનુસાર, સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં આ ગંભીર ઘટના ઘટી છે. સોસાયટીમાં રહેતા મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિઓ ગાઢ મિત્રો હતા અને નિયમિત દેશી દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા. દરરોજની જેમ રવિવારે પણ આ બંને મિત્રોએ દેશી દારૂ મેળવીને સાથે પીધો હતો. જો કે, દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેને અસહ્ય તકલીફ થવા લાગી હતી અને તબિયત એકાએક લથડી પડી હતી. પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ જોતજોતામાં બંનેના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો: દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત

ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

એક જ સોસાયટીમાં સાથે દારૂ પીનારા બે વ્યક્તિઓના મરણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટો કાફલો તાત્કાલિક ભગીરથ સોસાયટી ખાતે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના લોકો અને મૃતકના પરિવારજનોના પ્રાથમિક નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

કેમિકલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળની આશંકા

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર, આ સામાન્ય મોત નથી. આશંકા છે કે દેશી દારૂ બનાવતી વખતે તેમાં નશાનું પ્રમાણ વધારવા માટે કોઈ ઘાતક કેમિકલ, મિથેનોલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ છે.

મોતનું સચોટ, વાસ્તવિક અને વૈજ્ઞાનિક કારણ જાણવા માટે પોલીસે બંને મિત્રોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા ફિઝિકલ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવશે. કાનૂની અને તબીબી રિપોર્ટ આવ્યા બાદ જ આ લઠ્ઠાકાંડ છે કે અન્ય કોઈ ઝેર, તેનો સત્તાવાર ઘટસ્ફોટ થશે.